Surat News: સુરત શહેરમાં ચંદી પડવાના તહેવારને ધ્યાને લઈને ફૂડ સેફટી ઓફિસરોએ દુધના માવાના કુલ 26 નમુના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેમાં બે નમુના સબસ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે. જેથી એડજયુકેટીંગ ઓફિસર સમક્ષ ફરિયાદ કરવામાં આવશે. આ ઉપરાંત દુધના માવાનો 110 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
ચંદી પડવાના તહેવારને ધ્યાને લઈને ગત 14 ઓક્ટોબર 2024ના રોજ સુરત શહેરમાં ફૂડ સેફટી ઓફિસરોએ અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારોમાં દુધના માવાનાની સંસ્થાઓમાં તપાસ હાથ ધરી હતી અને કુલ 26 નમુના લઈને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેમાં પીરછડી રોડ સ્થિત જૈન માવા ભંડાર અને મોટા વરાછા દરબાર ફળિયા સ્થિત આવેલા સંતકૃપા મિલ્ક પ્રોડકસમાંથી લીધેલા નમુના સબસ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે. જેથી આ મામલે એડજયુકેટીંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
તેમજ દુધના માવાનો આશરે 110 કી.ગ્રા. જથ્થો નાશ કરવામાં આવ્યો છે. જે બે નમુના સબસ્ટાન્ડર્ડ માલુમ પડ્યા છે. તેમાં મિલ્ક ફેટમાં Min. ૩૦% ધારધોરણ હોવી જોઈએ જે સેમ્પલમાં ઓછી જણાયેલ છે તેમજ બી.આર.રીડીંગ 40 સેલ્સિયસમાં 40.0 થી 44.0 ધારાધોરણ હોવી જોઈએ જે સેમ્પલમાં વધારે જણાયેલ હતી.
ફૂડ સેફટી ઓફિસર એચ.એસ. પટેલએ જણાવ્યું હતું કે ચંદી પડવાના તહેવારને લઈને શહેર અલગ અલગ વિસ્તારોમાંથી દુધના માવાના નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં 16 સંસ્થાઓમાંથી કુલ 26 નમુના લેવામાં આવ્યા હતા જેમાં બે નમુના ધારાધોરણ મુજબના નહી હોવાથી સબસ્ટાન્ડર્ડ આવ્યા છે. કોર્પોરેશનની લેબમાંથી તેનું રીઝલ્ટ આપવામાં આવ્યું છે અને જે નમુના ફેઈલ થયા છે તેની સામે એડજયુકેટીંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
