Surat builder suicide attempt: સુરતના અગ્રણી બિલ્ડર અને 'ઘેલાણી ગ્રુપ' ના માલિક તુષાર ઘેલાણીએ પોતાની જ રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના આજે લગ્ન લખવાના હતા, અને 5 ફેબ્રુઆરીએ લગ્ન હતા. તુષારભાઈએ આ પગલું કેમ ભર્યું તે હાલ સામે આવ્યું નથી.
બિલ્ડર તુષાર ઘેલાણીએ કર્યો આપઘાતનો પ્રયાસ
મળતી માહિતી મુજબ સુરતના અગ્રણી બિલ્ડર અને 'ઘેલાણી ગ્રુપ' ના માલિક તુષાર ઘેલાણીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. બિલ્ડરે સિટીલાઈટ વિસ્તારમાં પોતાના નિવાસસ્થાને રાત્રીના સમયે પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વરથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મોટો અવાજ સાંભળી પરિવારજનો દોડી આવ્યા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ચાર દિવસ બાદ હતા પુત્રીના લગ્ન
હાલ તુષાર ઘેલાણી મહાવીર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તુષારભાઈએ આ પગલું કેમ ભર્યું તે હાલ સામે આવ્યું નથી. બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના આજે લગ્ન લખવાના હતા, અને 5 ફેબ્રુઆરીએ લગ્ન હતા. જ્યાં લગ્નની શરણાઈ અને ઢોલ ઢબૂકવાના હતા, ત્યાં હાલ સન્નાટો છવાઈ જવા પામ્યો છે.
સુરત શહેરના અગ્રણી બિલ્ડર તુષાર ઘેલાણી
તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું નામ છે. તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ અને ઘેલાણી ગ્રુપ વર્ષ 1990થી સુરતમાં બાંધકામ ક્ષેત્રે સક્રિય છે. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પલેક્ષમાં આવેલી છે. આ સમાચારથી સુરતના બિલ્ડર લોબીમાં શોક અને ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.
