Surat News: આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરીને યુદ્ધના ધોરણે તેજ કરવામાં આવી છે. સુરતના નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓને કાયમી ધોરણે નિવારવા માટે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ વિવિધ વિસ્તારોમાં ગ્રાઉન્ડ વિઝિટ કરી હતી.
મંત્રીએ 'મારો વિસ્તાર, મારી ફરજ'ના ધ્યેય સાથે મેયર માયાબેન માવાણી, કોર્પોરેટરો અને મનપાના ઉચ્ચ અધિકારીઓ સાથે ભગવતી સોસાયટી, પુણા વિસ્તારમાં ચાલી રહેલી ખાડી સફાઈ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. ખાડીની સાફસફાઈ માટે એમ્ફિબિયસ એક્સકેવેટર મશીન સતત કાર્યરત છે.
સ્થળ પર જ અધિકારીઓને મંત્રી પાનશેરીયાએ સ્પષ્ટ તાકીદ કરી હતી કે, ચોમાસા દરમિયાન નાગરિકોને ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કામગીરીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં ન આવે. તેમણે નિર્ધારિત સમયમર્યાદામાં તમામ કામો પૂર્ણ કરવા માટે તંત્રને કડક સૂચનાઓ આપી હતી.
વહીવટીતંત્ર દ્વારા અત્યારથી જ આયોજનબદ્ધ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે મંત્રીએ વ્યક્તિગત રસ દાખવીને કામગીરીનું નિરીક્ષણ કરતા તંત્રની કામગીરીમાં વધુ પારદર્શિતા અને વેગ આવ્યો છે, જેથી આ વર્ષે સુરતના નાગરિકોને ચોમાસામાં હાલાકી ભોગવવી ન પડે તે પ્રકારે આગોતરી કામગીરી કરવામાં આવી રહી છે.
આ વેળાએ કોર્પોરેટરો સુરેશ ધામેલિયા, વિશાલ રાઠોડ, જગદીશ સુતરિયા, વિક્રમ દહેગામા, મહેન્દ્ર દેસાઈ, કાવ્યાબેન કથીરીયા, મીતાબેન મકવાણા, સંગીતાબેન પરમાર, રીટાબેન પટોળિયા અને વોર્ડ પ્રમુખ ભરત ગલાણી, ધર્મેશ કાકડિયા, શૈલેષ ઇટાલિયા અને સ્થાનિક સંગઠન મહામંત્રીઓ, સંગઠન ટીમના સભ્યો પણ સાથે જોડાયા હતા.
