સુરતના છેવાડાના વિસ્તારોને મળી મોટી ભેટ: સીટી બસ રૂટ નં. 505 હવે 'અનુપમ સિટી' સુધી લંબાવાયો; હજારો શ્રમિકોને થશે સીધો ફાયદો

મહાનગરપાલિકાની આ પહેલથી સુરતના છેવાડાના વિસ્તારો પણ હવે મુખ્ય શહેર સાથે નજીકથી જોડાયા છે. આ સુવિધાથી સામાન્ય નાગરિકોના સમય અને નાણાં બંનેની બચત થશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 13 Feb 2026 12:29 PM (IST)Updated: Fri, 13 Feb 2026 12:29 PM (IST)
surat-good-news-for-citizens-of-choryasi-area-route-no-505-has-now-been-extended-to-anupam-city

Surat City Bus: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા જાહેર પરિવહન સેવાને વધુ વ્યાપક બનાવવાના પ્રયાસરૂપે સીટી બસ રૂટ નં. 505 ના વિસ્તરણનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ બસ સેવા ‘અનુપમ સિટી’ અને ડુંડી ગામ સુધી લંબાવવામાં આવી છે, જેનાથી ચોર્યાસી વિધાનસભાના વોર્ડ-30 ના હજારો રહીશોને શહેરી પરિવહનનો સીધો લાભ મળશે.

ધારાસભ્યના હસ્તે રૂટનું ઉદઘાટન

ગુરુવારના રોજ બપોરે 3:30 કલાકે અનુપમ સિટી, ડુંડી ગામની સામે આ વિસ્તૃત રૂટનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, જાહેર પરિવહન સમિતિના અધ્યક્ષ સોમનાથભાઈ મરાઠે, અને લાઈટ એન્ડ ફાયર સમિતિના અધ્યક્ષ ચિરાગસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી બસ સેવાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

કનેક્ટિવિટીમાં થશે મોટો સુધારો

અત્યાર સુધી સીટી બસ રૂટ નં. 505 માત્ર ચિકુવાડીથી બુડિયા ગામ સુધી જ કાર્યરત હતો. લાંબા સમયથી સ્થાનિક રહીશો દ્વારા આ રૂટને આગળ લંબાવવાની માંગ કરવામાં આવી રહી હતી. ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરોની સંયુક્ત રજૂઆત બાદ હવે આ બસ અનુપમ સિટી અને ડુંડી ગામ (જીઆવ-બુડિયા માર્ગ) સુધી લંબાવાતા સ્થાનિક રહીશોમાં ખુશીની લહેર જોવા મળી છે.

  • લાભાર્થીઓ: આ વિસ્તારમાં રહેતા નોકરીયાત વર્ગ અને શ્રમિકોને આ સેવાથી સીધો લાભ થશે.
  • ઔદ્યોગિક જોડાણ: બમરોલી અને પાંડેસરા જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારો સાથે હવે સીધી કનેક્ટિવિટી મળતા મુસાફરી સરળ અને સસ્તી બનશે.

સુરતની જાહેર પરિવહન સેવા એક નજરે

સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં જે પરિવહન માળખું કાર્યરત છે તેની વિગતો નીચે મુજબ છે:

સેવા પ્રકાર વિગત
BRTS કોરીડોર ૧૦૮ કિમી (ભારતનો સૌથી લાંબો ડેડીકેટેડ કોરીડોર)
BRTS બસો ૧૩ રૂટ પર ૩૬૭ બસો કાર્યરત
સીટી બસ સેવા ૪૫ રૂટ પર ૩૮૭ બસોનું સંચાલન
કુલ નેટવર્ક ૪૫૨ કિમીના રૂટ પર પરિવહન સુવિધા
દૈનિક મુસાફરો આશરે ૨ લાખથી વધુ મુસાફરો લાભ લે છે

મહાનગરપાલિકાની આ પહેલથી સુરતના છેવાડાના વિસ્તારો પણ હવે મુખ્ય શહેર સાથે નજીકથી જોડાયા છે. આ સુવિધાથી સામાન્ય નાગરિકોના સમય અને નાણાં બંનેની બચત થશે.