Aarti Sangani Love Marriage Controversy: સુરતની સિંગર અને પાટીદાર સમાજની દીકરી આરતી સાંગાણીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે પ્રેમલગ્ન કરતાં પાટીદાર સમાજના આગેવાનો સવાલો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ આરતી સાંગાણીના પિતાએ પણ ભીની આંખે દીકરીએ પોતાની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની હૈયાવરાળ ઠાલવી હતી.
એવામાં આજે આરતી સાંગાણીએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને પોતાના વિરોધીઓને જવાબ આપ્યા છે. જો કે આ વીડિયોની નીચે કોમેન્ટમાં પણ આરતી સાંગાણી પર યુઝર્સે રીતસરની પસ્તાળ પાડી છે. મોટાભાગના યુઝર્સે આરતીના પ્રેમલગ્નના પગલાંને ખોટું ગણાવ્યું છે, તો અનેક યુઝર્સે તેને અટક બદલી નાંખવાની સલાહ આપી છે.
શું હું આપઘાત કરી લઉં તો સમાજ જવાબદારી લેશે?
પ્રેમલગ્ન કરનાર આરતી સાંગાણીએ આજે એક વીડિયો દ્વારા કહેવાતા સમાજના આગેવાનો પર સવાલ ઉઠાવ્યા છે. આરતીએ પોતાના વીડિયોમાં કહી રહી છે કે, કેટલીય પટેલ સમાજની દીકરીઓ ભાગીની બીજા સમાજમાં જાય છે. પટેલ સમાજમાં પણ અનેક એવા દીકરાઓ છે, જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈને આવે છે. આ સમયે કોઈ કોઈને વાંધો નથી પડતો, કેમ કોઈ તેમના બહિષ્કારની વાત નથી કરતું.
આજે તમે મને જીવવા જેવી નથી રાખી. મારું જોઈને તમારી દીકરી શું શીખશે? એવું લાગતું હોય તો તમારી દીકરીને ઘરમાં પુરી રાખો. આપણો સમાજ કેવો છે, જ્યાં દીકરીને પોતાની આઝાદીથી જીવનસાથી પણ પસંદ કરી શકતી નથી. દીકરી મરી જાય તો તમને પોશાય છે, પરંતુ દીકરી ખુશ ના થવી જોઈએ. આજે મારાથી સહન નથી થતું અને કદાચ હું પ્રેશરમાં આવીને આપઘાત કરી લઉ, તો શું સમાજ જવાબદારી લેશે?

બાપના આંસુ પડતાં હોય, તે દીકરી ક્યારેય સુખી નહીં થાય
આરતી સાંગાણીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો મૂકીને પોતાનો પક્ષ લોકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે તેમાં પણ આરતીના સમર્થનમાં ખૂબ ઓછા લોકો જોવા મળી રહ્યા છે. આરતીની પોસ્ટની નીચે કરવામાં આવેલી મોટાભાગની કોમેન્ટમાં તેના અન્ય સમાજના યુવક સાથે કરેલા પ્રેમલગ્નનો વિરોધ જ કરવામાં આવ્યો છે. કેટલાક યુઝર્સ તો આરતી સાંગાણીને હવે પોતાની અટક બદલીને આરતી ગોહિલ કરવાની સલાહ આપી રહ્યા છે, તો કેટલાક આરતીને લાંબા ગાળે પસ્તાવાનો વારો આવશે તેમ કહી રહ્યા છે.

એક યુઝર્સે કોમેન્ટમાં લખ્યું છે કે, તે તારા પિતાના ભરોસાનો ગેરલાભ લીધો છે. હવે તું બીજા પર કાદવ ઉછાળવાનું રહેવા દે. અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, મગરના આંસુ સારવાના રહેવા દે. જે બાપની નથી થઈ, તે બીજાની શું થશે. બાપના આંસુ પડતા હોય તે દીકરી કોઈ દિવસ સુખી નહીં થાય
કેટલાક યુઝર્સે લખ્યું છે કે, આ આકર્ષણ સમય જતા ઓછું થઈ જશે, ત્યારે તને મા-બાપની કિંમત સમજાશે. તને તારા મા-બાપે લાડકોડથી ઉછેરી છે અને તે મોટી થઈને તેમની જ આંખોમાં ધૂળ નાંખી છે. એક યુઝર્સે આરતી પટેલ સમાજ પર ઉઠાવેલા સવાલનો જવાબ આપતા લખ્યું છે કે, આ પટેલ સમાજે જ તને આગળ વધારી છે. જેની તેમની આગળ જતાં જરૂર પડશે. આ સમયે થૂંકેલું ચાટવું ના પડે તેનું ધ્યાન રાખજો.

