માયાભાઈ આહીરના વાયરલ વીડિયો પર હીરા સોલંકીનો જવાબ; કહ્યું કે- 'જે થશે તે સારું જ થશે, આ કોઈ જ્ઞાતિનો ઝઘડો નથી'

હીરા સોલંકીએ આ વિવાદને સામાજિક રંગ ન આપવાની અપીલ કરતા સ્પષ્ટતા કરી હતી કે, આ કોઈ બે જ્ઞાતિઓ વચ્ચેનો ઝઘડો કે કોઈની સાથેની અંગત અદાવત નથી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 27 Jan 2026 02:12 PM (IST)Updated: Tue, 27 Jan 2026 02:12 PM (IST)
bagdana-controversy-hira-solanki-response-to-maya-bhai-ahir-viral-video

Hira Solanki On Bagdana Controversy: બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં તપાસ તેજ બની છે ત્યારે લોકગાયક માયાભાઈ આહીરના એક નિવેદને લોકોનું ધ્યાન ખેંચ્યું છે. માયાભાઈના પુત્ર જયરાજ આહીરની આ કેસમાં ધરપકડ થયા બાદ માયાભાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, "જે થયું તે સારું થયું અને આગળ પણ સારું જ થશે."

હીરા સોલંકીએ આપ્યો શાંતિપૂર્ણ જવાબ

જ્યારે ધારાસભ્ય હીરા સોલંકીને આ વાયરલ વીડિયો અને માયાભાઈના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અત્યંત ગંભીરતાથી જવાબ આપતા કહ્યું હતું કે, "આ માયાભાઈની પોતાની લાગણી હોઈ શકે છે. અમે પણ એ જ કહીએ છીએ કે જે થશે તે સારું જ થશે. અમે પણ એવું જ ઈચ્છીએ છીએ."

'આ કોઈ જ્ઞાતિનો ઝઘડો નથી'

હીરા સોલંકીએ આ વિવાદને સામાજિક રંગ ન આપવાની અપીલ કરતા સ્પષ્ટતા કરી હતી કે, આ કોઈ બે જ્ઞાતિઓ વચ્ચેનો ઝઘડો કે કોઈની સાથેની અંગત અદાવત નથી. આ લડાઈ માત્ર ન્યાય માટેની છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સત્ય બહાર આવે તે જ સૌથી વધુ જરૂરી છે અને SIT ની તપાસમાં હવે બધું સ્પષ્ટ થઈ રહ્યું છે.

ન્યાયતંત્ર પર ભરોસો

ધારાસભ્યએ જણાવ્યું કે આ મામલે પોલીસ અને SIT જે રીતે કામ કરી રહી છે તેનાથી સમાજમાં ન્યાયની આશા જાગી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કોઈ પણ ગુનેગાર ભલે તે ગમે તેટલો પ્રભાવશાળી હોય, તે કાયદાથી ઉપર નથી. કાયદાકીય પ્રક્રિયા તેના નિર્ધારિત માર્ગે ચાલશે અને અંતે ન્યાયની જ જીત થશે.