માંડવી.
અરબી સમુદ્રમાં શક્તિશાળી બની ચૂકેલ બિપોરજોય વાવાઝોડું આજે મોડી રાત સુધીમાં કચ્છ જિલ્લાના જખૌ દરિયા કાંઠે ટકરાવા જઈ રહ્યું છે. આ વાવાઝોડું 8 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની ભયાનક અસર અત્યારથી ગુજરાતના વિવિધ ભાગોમાં વર્તાવા લાગી છે. અનેક ઠેકાણે તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો છે, તો દરિયો તોફાની બન્યો છે.
હાલ આ વાવાઝોડું જખૌ બંદરથી 100 કિમી, દેવભૂમિ-દ્વારકાથી 150, નલિયાથી 130 અને પાકિસ્તાનના કરાંચીથી 240 કિમી દૂર છે. વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે 47 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
વાવાઝોડું જેમ-જેમ આગળ વધી રહ્યું છે, તેમ-તેમ કચ્છ-સૌરાષ્ટ્રના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. જો માંડવીની વાત કરીએ તો, અહીં બીચ પર દરિયાની સપાટી બમણી થઈ જવા પામી છે.
માંડવીના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. દરિયાના મોજા બીચ પર આવેલ ફૂડ સ્ટોલ સુધી પહોંચી રહ્યાં છે. જેના કારણે બીચ પર મૂકેલા સ્ટોલ, શેડ સહિત વસ્તુઓને વ્યાપક નુક્સાન થયું છે.
હાલ તો દરિયાના પાણી ફરી વળતાં પોલીસે માંડવી બીચ તમામ લોકો માટે બંધ કરી દીધો છે. વાવાઝોડાના સંભાવિત ખતરાને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે સિક્યોરિટી અને મીડિયા કર્મચારીઓને પણ હાલ બીચ પર જતાં રોકવામાં આવી રહ્યાં છે.
