Sabarkantha News: સાબરકાંઠા જીલ્લામાં આગામી 9 મી માર્ચના રોજ વર્ષ 2024ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી તથા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગરના અધ્યક્ષ અને મુખ્ય ન્યાયાધીશ કે.આર.રબારીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ફૂલ ટાઈમ સેક્રેટરી પી.કે.ગઢવી નાઓ દ્વારા સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે.
ફોજદારી, ચેક રિટર્ન, બેંક લેણાં, મોટર અકસ્માત, લગ્ન વિષયક સહિતના કેસો મૂકી શકાશે. સાબરકાંઠા જિલ્લામાં વિવિધ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમોના ભંગ કરનાર અનેક લોકો દંડ ભરતા નથી. ત્યારે આવા કેસો પણ લોક અદાલતમાં મુકવામાં આવનાર છે. હિંમતનગર શહેરમાં નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે હેતુથી હિંમતનગર શહેરમાં લાગેલ સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં લોકોને ઈ-ચલણ ઇશ્યુ કરવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લા ખાતે ટ્રાફિક નિયમ ભંગ બદલ ઇશ્યુ કરાયેલ ઈ-ચલણો પૈકી ભરપાઈ ન થયેલ ઈ-ચલણોના તમામ કેસ આગામી 9 માર્ચ 2024ના રોજ યોજાનાર લોક અદાલતમાં મૂકવામાં આવેલ છે. જે સંદર્ભે તમામ ઈ-ચલણ ધારકોને નોટીસ મોકલી આપવામાં આવેલ છે.
જેથી આ લોક અદાલત બાદ પણ જો કોઈ ઈ-ચલણ ભરશે નહીં તો તેના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. જેથી આપનું ઈ-ચલણ ભરવાનું બાકી હોય તો 9 માર્ચ 2024 પહેલા સત્વરે ભરપાઈ કરવા નજીક ના નેત્રમ કમાન્ડ કંટ્રોલ ઓફીસનો સંપર્ક કરવા ઈ-ચલણ ધારકોને આથી જાણ કરવામાં આવે છે.
લોક અદાલતમાં કેસોનો નિકાલ તે બંને પક્ષકારોને લાભકર્તા છે. બંને પક્ષના સમાધાનથી કેસોનો નિકાલ થાય છે, લોક અદાલતમાં કોઇની હાર નહીં અને કોઈનો પરાજય નહીં તેવી સ્થિતિ ઉદભવે છે. બંને પક્ષકારો વચ્ચે કોઈ વૈમનસ્ય રેહતું નથી અને સુમેરભર્યા સંબધો સચવાઈ રહે છે. આથી વધુમાં વધુ પક્ષકારોએ પોતાના કેસો લોક અદાલતમાં મૂકી તેનો મહતમ લાભ લેવાં દરેક નાગરિકોને અનુરોધ કરાયો છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
