Sabar Dairy Protest: દૂધ ઢોળવા બદલ હવે પોલીસ કડક કાર્યવાહી કરશે, જાણો SPએ શું કહ્યું

એસ. પી. દ્વારા સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું છે કે, જો હવે રસ્તા પર દૂધ ઢોળવામાં આવશે અથવા ટેન્કરોના વાલ્વ ખોલી દૂધનો બગાડ કરવામાં આવશે, તો તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 19 Jul 2025 10:46 AM (IST)Updated: Sat, 19 Jul 2025 10:46 AM (IST)
sabar-dairy-controversy-police-will-now-take-strict-action-for-spilling-milk-complaints-filed-against-more-than-1000-people
HIGHLIGHTS
  • હવેથી દૂધના ટેન્કરો ડેરી સુધી સુરક્ષિત રીતે પહોંચે તે માટે પોલીસ પાયલોટિંગ અને એસ્કોર્ટ સાથે ટેન્કરોની હેરફેર કરવામાં આવશે.
  • હિંમતનગર ખાતે સાબર ડેરીના પરિસરમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો

Sabar Dairy Protest: સાબર ડેરી દ્વારા ભાવફેરના નિર્ણયને અંગે પશુપાલકો દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ હવે પોલીસ કડક કાર્યવાહી કરશે. સાબરકાંઠાના એસ. પી. દ્વારા સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું છે કે, જો હવે રસ્તા પર દૂધ ઢોળવામાં આવશે અથવા ટેન્કરોના વાલ્વ ખોલી દૂધનો બગાડ કરવામાં આવશે, તો તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરીને ધરપકડ પણ કરવામાં આવશે.

પોલીસની કાર્યવાહી અને ઘટનાક્રમ:

  • અગાઉ થયેલા ઉગ્ર આંદોલન દરમિયાન, પશુપાલકો દ્વારા ડેરી બહાર હંગામો મચાવવામાં આવ્યો હતો અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.
  • આ ઘર્ષણમાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો અને ૩૦થી વધુ ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા.
  • પશુપાલકો દ્વારા પોલીસની બસ અને કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
  • આ ઘટનાઓમાં પાંચથી વધુ પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અનેક પશુપાલકોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હોવાના અહેવાલ છે.
  • પોલીસે અત્યાર સુધીમાં 1000થી પણ વધુ લોકો સામે ફરિયાદ નોંધી છે. એક અગાઉના આંદોલનમાં 74 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી.

દૂધ આવશ્યક સેવા અને પુરવઠો જાળવવા નિર્ણય

એસ.પી. દ્વારા જણાવવામાં આવ્યું છે કે દૂધ એક આવશ્યક સેવા અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ છે. જો દૂધનો બગાડ કરવામાં આવે અને રસ્તા પર ઢોળવામાં આવે તો ડેરીમાં દૂધની અછત સર્જાઈ શકે છે અને લોકોને દૂધ મળતું બંધ થઈ શકે છે. આથી, દૂધનો બગાડ ન થાય અને તેનો પુરવઠો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

દૂધ ટેન્કરો માટે સુરક્ષા વ્યવસ્થા

હવેથી દૂધના ટેન્કરો ડેરી સુધી સુરક્ષિત રીતે પહોંચે તે માટે પોલીસ પાયલોટિંગ અને એસ્કોર્ટ સાથે ટેન્કરોની હેરફેર કરવામાં આવશે. પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી દૂધના પરિવહનમાં કોઈ અડચણ ન આવે. પોલીસ દ્વારા પશુપાલકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરવામાં આવી છે. જો સાબર ડેરી તરફથી પણ કોઈ ફરિયાદ નોંધાવવામાં આવશે તો પોલીસ કાર્યવાહી કરશે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

શું છે સમગ્ર મામલો

સાબર ડેરીમાં તાજેતરમાં પશુપાલકો દ્વારા દૂધના ભાવમાં વધારો અને વાર્ષિક ભાવફેર (બોનસ)ની ઓછી ચૂકવણીને લઈને વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે પશુપાલકોના પ્રદર્શનો હિંસક બન્યા હતા. હિંમતનગર ખાતે સાબર ડેરીના પરિસરમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહનોને નુકસાન થયું હતું અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા, જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.