રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન: જ્યાં બાળકોની કિલકારી ગુંજતી ત્યાં બુલડોઝર ધણધણ્યાં, રડતાં-રડતાં મહિલાઓએ કહ્યું- ઘર વગરના કરી નાંખ્યા

મનપાની ટીમ દ્વાર પોલીસ બંદોબસ્ત સાથે જંગલેશ્વરમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આશરો છીનવાતા મહિલાઓ રડી પડી હતી. રડતાં રડતાં મહિલાએ પોતાની વેદના જણાવી રહી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 23 Feb 2026 03:45 PM (IST)Updated: Mon, 23 Feb 2026 03:45 PM (IST)
rajkot-sees-biggest-demolition-in-history-jungleshwar-structures-razed-amid-police-security

Rajkot Jangleshwar Demolition: આજે રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સવારથી જંગલેશ્વર વિસ્તારમાં બાંધકામો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડિમોલિશનની કામગીરી દરમિયાન હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. આસરો ગુમાવનારા પરિવારજનો ભાવુક થઇ ગયા હતા. જે શેરીઓમાં બાળકોની કિલકારી ગુંજતી હતી ત્યાં આજે બુલડોઝર ધણધણી ઉઠ્યાં છે. આશરો છીનવાઇ જતાં મહિલાઓ રડી પડી હતી.

રડતાં રડતાં મહિલાએ કહ્યું-ઘર વગરના કરી નાંખ્યા

મનપાની ટીમ દ્વાર પોલીસ બંદોબસ્ત સાથે જંગલેશ્વરમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આશરો છીનવાતા મહિલાઓ રડી પડી હતી. રડતાં રડતાં મહિલાએ પોતાની વેદના જણાવી રહી હતી. એક મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 60 વર્ષથી અહીં રહેતા હતા. 60 વર્ષથી રહેતા હતા ત્યારે તો કોઇ કંઇ કહેવા ન આવ્યું અને હવે અમને ઘર વગરના કરી નાંખ્યા છે. જે ઘરમાં જીંદગી વિતાવી એ ઘર પાડી નાંખે ત્યારે કેવું લાગે.

naidunia_image

લોકોને યોગ્ય જગ્યા આપવામાં આવે કે પછી વૈકલ્પિક જગ્યા મળે

સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં જે કોઇ લોકો રહે છે તેમને કાયદો વ્યવસ્થા અને ન્યાયપાલિકા પર ભરોસો છે. આ પરિસ્થિતિની અંદર છેલ્લા 48 કલાકમાં જે ડિમોલિશન થયું છે તે લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે કરવામાં આવ્યું છે. એક હજારથી વધારે લોકોના મકાન અને બીજી નાની મોટી પ્રોપર્ટીમાં કેટલાકની દુકાન અને મકાનનું ડિમોલિશન થયું છે. હાલ તંત્ર દ્વારા જે કામગીરી સવારથી શરૂ કરવામાં આવી છે. એ સંદર્ભે જોવો તો 80થી 85 ટકા જેટલું ડિમોલિશન સ્થાનિકો લોકોએ પોતાની રીતે સ્વૈચ્છિક જ કરી નાંખ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, હાલ જે સ્થિતિ છે તેને હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. આ દૃશ્યો જોઇ શકાતા નથી કે બાળકો અને મહિલાઓની ચીસો સાંભળી શકાતી નથી. જેમણે અહીં જિંદગી કાઢી નાખી તેમની આ સ્થિતિ જોઇ શકાય તેમન નથી. તંત્ર પાસે અમારી માગણી છેકે, આ લોકોને યોગ્ય જગ્યા આપવામાં આવે કે પછી વૈકલ્પિક જગ્યા મળે.

વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં ચાલી રહેલા મેગા ડિમોલેશન ડ્રાઇવ અંતર્ગત સાત ઝોનમાં એકસાથે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ કમિશનરના સીધા સુપરવિઝન હેઠળ વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ બંદોબસ્તમાં 2500થી વધુ પોલીસ જવાનો તહેનાત છે, જેમાં મહિલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું છેકે, મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સાથેના વ્યવહારમાં સંવેદનશીલતા જાળવવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ અને ડ્રોન સર્વેલન્સ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે 10 જેટલી એસઆરપીએફ (રાજ્ય રિઝર્વ પોલીસ દળ) કંપનીઓ પણ ફરજ પર છે. તમામ વરિષ્ઠ અધિકારીઓ પોતાની એન્ટી-રાયટ ટીમો સાથે સ્થળ પર હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.