Rajkot: લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ભાજપમાં ભરતી મેળો વેગ પકડી રહ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને હોદ્દેદારો મોટી સંખ્યામાં કેસરિયો ધારણ કરી ચૂક્યાં છે. હવે અલગ-અલગ સમાજના આગેવાનો પણ ભાજપમાં જોડાવા માટે આગળ આવી રહ્યાં છે. જે અંતર્ગત આજે રાજપૂત કરણી સેના ગુજરાતના અધ્યક્ષ પદ્મિનીબા વાળા 300 જેટલી ક્ષત્રિય બહેનો સાથે ભાજપમાં જોડાયા છે.
રાજકોટ કમલમ ખાતે આજે પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાએ પદ્મિનીબા સહિત 300 જેટલી બહેનોનું ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કરતા જણાવ્યું કે, નારી શક્તિના આ નિર્ણયને હું આવકારું છું.
જ્યારે રાજપૂત કરણી સેના ગુજરાતના અધ્યક્ષ પદ્મિનીબાએ જણાવ્યું કે, દેશના વિકાસ માટે કામ કરતી ભાજપ સરકાર સાથે જોડાઈને સમાજ અને દેશના વિકાસમાં સહભાગી થવા હું અને અમારી રાજપૂત કરણી સેનાની 300 જેટલી બહેનો ભાજપમાં જોડાયા છીએ. અમે સૌ સાથે મળીને દેશના વિકાસમાં સહભાગી થઈશુ અને જ્યાં પાર્ટીને જરૂરિયાત પડશે, ત્યા મદદરૂપ બનીશું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
