Rajkot: લોધિકામાં મળતિયાઓને પ્લોટ ફાળવી દેનારા મહિલા સરપંચ અને તલાટી સસ્પેન્ડ

ખુલ્લી હરાજી નહી કરતા જિલ્લા વિકાસ અધિકારીની કાર્યવાહી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 21 Nov 2024 04:20 PM (IST)Updated: Thu, 21 Nov 2024 04:20 PM (IST)
rajkot-news-woman-sarpanch-and-talati-suspend

Rajkot: લોકો દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ પ્રજાના વિકાસના કામો ઓછા અને પોતાના મળતિયાઓને ઘટાવવાના કામો વધારે કરતા હોવાના અનેક દાખલા છે, ત્યારે રાજકોટ જિલ્લાના લોધિકા ગામના સરપંચે તેના મળતિયાઓને ખુલ્લી હરરાજી કર્યા વગર પ્લોટ ફાળવી દેતા DDO દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

લોધિકા તાલુકાના લોધિકા ગામમાં 1.04 ગુઠા મંજૂર થયેલ નવા ગામતળ લે-આઉટ પ્લાનમાં 300 ચો.વાર ક્ષેત્રફળના પ્લોટ નં.6 પર લોધિકા ગામના સરપંચ સુધાબેન કિશોરભાઈ વસોયાએ તાલુકા વિકાસ અધિકારીને જાણ કર્યા વગર તથા કોઈપણ જાતની પરવાનગી વગર થોરડી રોડ ઉપર આવેલ આ પ્લોટ નં.6ના સબ પ્લોટીંગ અને દસ્તાવેજ કરી ખુલ્લી હરરાજી કર્યા વગર મળતીયાઓને પ્લોટ ફાળવી દીધો હતો.

સરપંચ દ્વારા પ્લોટ નં. 6/1 અને પ્લોટ નં.6/2નુ તા. 17 જાન્યુઆરી 2024ના રોજ વેચાણ કરેલ છે. વધુમાં હરરાજીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાના અને હરાજીની સંપૂર્ણ કાર્યવાહી કરવાના તાલુકા વિકાસ અધિકારીના અધિકારની ઉપરવટ થઈ મનસ્વી રીતે હરરાજીની અપસેટ પ્રાઈઝ નક્કી કરીને અન્ય કુલ 14 પ્લોટની સંપૂર્ણ હરરાજીની પ્રક્રિયા સરપંચ દ્વારા પૂર્ણ કરી પોતાના મળતીયાઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.

જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણે દ્વારા લોધિકા ગ્રામ પંચાયતના સરપંચ સુધાબેન કિશોરભાઈ વસોયાને પંચાયત ધારાના નિયમ મુજબ દુર્વર્તન, અધિકારોનો દુરુપયોગ, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવું, સત્તા બહારના કૃત્યો કરવા વગેરે આચરણ માટે હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. આ સાથે તલાટી કમ મંત્રી બી.એલ.મકવાણા દ્વારા સરપંચ સાથે મેળાપીપણું કરી ગેરરીતિ આચરવામાં આવેલ હોય તલાટી કમ મંત્રીને પણ ફરજ મોકૂફ કરવામાં આવેલ છે તેમ જિલ્લા વિકાસ અધિકારી રાજકોટની યાદી દ્વારા જણાવાયું છે.