Rajkot: શહેરમાં વ્યાજખોરીને ડામવા માટે પોલીસ દ્વારા લોક દરબાર યોજી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે હવે ફરીથી પોલીસની ધાક ઓસરી રહી હોય તેમ વ્યાજખોરીનાં બનાવો વધી રહયા છે . વધુ એક બનાવમા ભગવતીપરામાં વ્યાજખોરના ત્રાસથી સફાઇ કામદારે સ્યુસાઇડ નોટ લખી ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. વ્યાજખોર પાસેથી 30 હજાર 10 ટકા વ્યાજે લીધા બાદ વ્યાજખોરે ર0 ટકા વ્યાજ કરી નાખી 3.8ર લાખની પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતા આ પગલુ ભર્યાનુ જાણવા મળ્યુ છે.
ભગવતીપરામાં અયોધ્યા પાર્ક શેરી નં ર મા રહેતા કાળુભાઇ જેરામભાઇ વાઘેલા (52) નામના પ્રૌઢે આજે સવારે પોતાનાં ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા. પ્રાથમિક તપાસમા કાળુભાઇ પાંચ ભાઇ ત્રણ બહેનમા વચેટ અને તેમને સંતાનમા ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેઓ મહાનગર પાલિકામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે.
તેમણે આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વે લખેલી નોટ મળી આવી હતી. જેમા તેમણે જણાવ્યુ કે, તેમણે વ્યાજખોર બિપીન મઠીયા પાસેથી 1 વર્ષ પહેલા રૂ. 30 હજાર 10 ટકા વ્યાજે લીધા હતા . જેના માટે નિયમિત રૂ. 3000 વ્યાજ ચૂકવતા હતા.
6 મહિના બાદ વ્યાજખોરે 20 ટકા વ્યાજ કરી નાખી દર મહિને રૂ. 6000 વ્યાજ ચૂકવવાનુ કહયુ હતુ, પરંતુ તેઓ રૂ. 3000 વ્યાજ ચુકવતા હોય જેથી વ્યાજખોરે બાકીનાં રૂ. 3000 અને છ મહીને રૂ. 3000 ની પેનલ્ટી મળી રૂ. 3.82 લાખ ચડાવી દીધા હતા અને અવાર નવાર ધમકી આપી તા. 22/5 સુધીમાં રૂપિયા નહી આપો તો ઘર પડાવી લઇશ અને તમને મારી નાખીશ તેવી ધમકી આપી હોય જેથી આજે તેમણે આ પગલુ ભરી લીધાનુ જણાવ્યુ હતુ આ અંગે બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .
