Rajkot: રાજકોટ શહેરમાં તૂટેલા રોડ રસ્તા અને ખાડા ઓના કારણે શહેરીજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. તંત્ર દ્વારા રોષ શાંત કરવા ખાડા બૂરવાની કામગીરી શરૂ કરી છે. જો કે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ સર્જાતા લોકોનો રોષ યથાવત રહયો છે. આથી આજે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરે 1લી ઓકટોબરથી તમામ 18 વોર્ડના મુખ્ય માર્ગો અને સોસાયટીઓ શેરીઓના રોડ રસ્તા પેવરથી મઢવાનુ કામ શરૂ કરવામાં આવશે. તેવી જાહેરાત કરવાની ફરજ પડી હતી.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે, તૂટેલા રોડ રસ્તાઓનું કામ ચલાઉ પુરવાનું કામ ચાલુ છે. જો કે દરવર્ષથી માફક એકશન પ્લાન અંતર્ગત તમામ વોર્ડમાં તૂટેલા રોડ રસ્તા ઉપર પેવર કામ કરવામાં આવશે. જેના સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.
આ પણ વાંચો
ગેરેટીં વાળા રોડ તૂટી ગયા હોય તેના સ્થાને મુદ્દત પૂર્ણ થયે નવા રોડ રસ્તા અથવા કોન્ટ્રાક્ટરના ખર્ચે પેવર કામ કરવામાં આવશે. જયારે સોસાયટીઓ અને શેરી ગલીઓમાં સંપૂર્ણ પણે તૂટી ગયેલા રોડના સ્થાને નવા રોડ બનશે. તેમજ ગાબડાઓ હશે, ત્યાં પેચ વર્ક કામ કરી રોડ સમથળ કરવામાં આવશે.
અગાઉ સ્ટેન્ડિંગમાં સેન્ટ્રલ ઝોનના છ વોર્ડ તથા વેસ્ટ ઝોનના છ વોર્ડ અને આજની સ્ટેન્ડિંગમાં ઇસ્ટ ઝોનના છ વોર્ડના પેવરકામ સહિતનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જેના લીધે 1ઓકટોબરથી ત્રણેય ઝોનના તમામ 18 વોર્ડમાં પેવરકામ શરૂ કરવામાં આવશે.
ચેરમેને વધુમાં જણાવ્યું કે, ડામર કામ તથા રી-કાર્પેટ અને પેવર કામ માટે સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવામાં આવી છે. જે એકશન પ્લાન અંતર્ગત રોડ રસ્તા બનાવા માટે કામમા લેવાશે. દીવાળી સુધીમાં કામ પૂર્ણ થઇ જાય તે રીતે એક સાથે ઝડપી કામ શરૂ કરવામાં આવશે. આવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાની હદમાં તાજેતરમા ભળેલા ઘંટેશ્વર, મોટા મવા, મુંજકા, મનહરપુર-1 સહિતના ગામોમાં પણ તૂટી ગયેલા રોડ રસ્તાઓ રી-કાર્પેટ કરવામાં આવશે.
