Rajkot: ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું, CCTV અને ફાયર NOC વિના ગણેશ પંડાલને મંજૂરી નહીં મળે

કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, તથા વેંચવા ઉપર તેમજ સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ રહેશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Jun 2025 08:05 PM (IST)Updated: Thu, 19 Jun 2025 08:05 PM (IST)
rajkot-news-police-notification-on-ganesh-idol-regulations-causes-concern-amongst-makers
HIGHLIGHTS
  • 9 ફૂટથી વધુ ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ
  • સ્થાપન બાદ મૂર્તિ બિનવારસી મૂકવા ઉપર રોક

Rajkot: ગણેશ ઉત્સવને આડે હવે બે મહિના બાકી છે, ત્યારે ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા ગણેશ ઉત્સવને લઈને ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે.

રાજકોટ શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ખુબ ઉત્સાહ અને ધામધૂમ પુર્વક મનાવવામાં આવે છે. રાજકોટ શહેરમાં આ વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે તા.27/08/2025 ના રોજ ભગવાન ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે અને સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની મૂર્તિઓના વિસર્જન સરઘસો કાઢી મુર્તિઓ પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

જેમાં અમુક ભાવિકો દ્વારા આ સ્થાપના કરવામાં આવેલ ગણેશજીની મૂર્તિઓને સ્થાપના કર્યાના ત્રીજા દિવસે, પાંચમા દિવસે, સાતમા દિવસે, નવમા દિવસે અને મોટાભાગના ભાવીકો દ્વારા અગિયારમાં દિવસે એટલે કે તા.06/09/2025 ના રોજ મૂર્તિઓના વિસર્જન સરઘસો કાઢી ગણેશજીની મૂર્તિઓને નદી કે તળાવમાં પધરાવીને વિસર્જન કરવામાં આવે છે.

આ મહોત્સવને અનુલક્ષીને મૂર્તિકારો દ્વારા અગાઉથી મૂર્તિઓ તૈયાર કરવામાં આવે છે. આ દરમ્યાન મૂર્તિ બનાવવાના સ્થળે ગંદકી થવાના કારણે રોગચાળો ફેલાય નહી તેમજ કોઇ પણ ધર્મની ધાર્મિક લાગણી દૂભાય નહી તેવા કોઇ ચિન્હો કે નિશાનીઓ રાખવામાં ન આવે અને મુર્તિઓની ઉંચાઈનું યોગ્ય ધોરણ જળવાઇ રહે, ઉપરાંત મુર્તિ બનાવવા માટે કેમિકલ યુક્ત રંગોના ઉપયોગ થતો હોય આવી મુર્તિઓને નદી તથા તળાવના પાણીના વિસર્જન કરવાથી પાણીમાં રહેતા પાણી જન્ય જીવો, માછલી તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા કેન્દ્રીય પ્રદુષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઇડલાઇન મુજબ તેમજ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવો અને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મુર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઇડલાઇનને ધ્યાને રાખવી જરૂરી હોય ગુજરાત તથા મહારાષ્ટ્ર હાઇકોર્ટની સૂચનાથી આપેલ આદેશ મુજબ પર્યાવરણને નુકશાન ન થાય તે હેતુથી સાવચેતીના પગલા લેવા ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયાએ જાહેરનામુ બહાર પાડી ગણેશ મહોત્સવને લઈને કેટલાક નિયમો અને પ્રતિબંધો લગાડ્યા છે.

જેમાં ગણેશજીની મુર્તિ પ્લાસ્ટર ઓફ પેરીસની બનાવવા કે વેચવા કે સ્થાપના કરવા તેમજ ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહીતની 9 ફુટ કરતાં વધારે ઊંચાઇની બનાવવા, વેંચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા ઉપર પ્રતિબંધ ઉપરાંત નકકી કરેલા વિસર્જન સ્થળો અને લીધેલ મંજુરીમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય કોઇ દરિયા, નદી, તળાવ, કુદરતી જળ સ્ત્રોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ તેમજ મુર્તિકારો જે જગ્યાએ મુર્તિઓ બનાવવાની કામગીરી કરનાર છે તે જગ્યા તથા મુર્તિ જે જગ્યાએ વેંચાણ માટે રાખનાર છે તે જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા-બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ અને ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મુર્તિકારોએ વેંચાણમાં ન થયેલી અને સ્થાપનાના દિવસ બાદ બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ.

આ ઉપરાંત કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, તથા વેંચવા ઉપર તેમજ સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ તથા સ્થાપના વિસર્જન સરઘસ યોજવા અંગેની પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સ્થાપના/વિસર્જન સરઘસ યોજવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. તેમજ ગણેશ પંડાલમાં ફરજીયાત સીસીટીવી કેમેરા લગાવવા અને ફાયર એક્સટીંગ્યુસર (અગ્નિક્ષામક) લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.