Rajkot: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં અને દેશભરમાં અહિંસાનો સંદેશ ફેલાવવાના ઉમદા હેતુ સાથે જામનગર જિલ્લાના જામજોધપુરના વતની સૈયદ સદામ બાપુ કાદરીએ પોરબંદરથી પહેલગામ સુધીની અહિંસા પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. આશરે 1800 કિલોમીટરની આ લાંબી યાત્રા 30 મે, 2025ના રોજ શરૂ થઈ હતી અને આજે રાજકોટ શહેરમાં પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજકોટ શહેરમાં સદામ બાપુનું ત્રણ જુદા જુદા સ્થળોએ મુસ્લિમ સમાજ સંગઠનો, અગ્રણીઓ અને આગેવાનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડી અને જયઘોષ સાથે તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સદામ બાપુના આ અહિંસાના સંદેશને બિરદાવ્યો હતો.
પદયાત્રા દરમિયાન સદામ બાપુ ઠેર ઠેર લોકોને મળીને શાંતિ, ભાઈચારો અને અહિંસાનો સંદેશ ફેલાવી રહ્યા છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદ સામે અહિંસક રીતે લડવાનો અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. રાજકોટમાં મળેલા ભવ્ય પ્રતિસાદથી સદામ બાપુએ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ યાત્રા તેમને દેશભરમાં શાંતિનો સંદેશ પહોંચાડવા માટે પ્રેરણા પૂરી પાડે છે.
