Rajkot Sandhiya Bridge: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે રાજકોટ ખાતે નવનિર્મિત 4-લેન રેલ્વે ફ્લાયઓવર બ્રિજ-સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર રૂ. 74.32 કરોડના ખર્ચે આ અદ્યતન બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ રેલવે ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મૂકાતા રાજકોટવાસીઓનું પરિવહન વધુ ઝડપી તેમજ સુવિધાજનક બન્યું છે. આ બ્રિજ કાર્યરત થતાં અંદાજિત 50 હજાર જેટલા વાહનોને રોજિંદી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે.
ઉલ્લેખનીય છે કે, આ બ્રિજની કુલ લંબાઈ 678 મીટર અને કુલ પહોળાઈ 16.24 મીટર છે. રેલ્વે ટ્રેકથી આ પુલની ઊંચાઈ 6.25 મીટર છે. લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તકતી અનાવરણ બાદ નાયબ મુખ્યમંત્રીએ વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીઓ સાથે આ નવનિર્મિત બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે બ્રિજ ઉપર થોડા થોડા અંતરે ફુગ્ગાને હવામાં તરતા મૂકીને નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે નાયબ મુખ્યમંત્રીએ સૌ ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું.
