Rajkot: તાજેતરમાં અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનને થયેલા દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી સહિત 200થી વધુ લોકોના કરુણ મૃત્યુ થયા હતા, ત્યારે આજરોજ તેમના અસ્થિનું વિસર્જન સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવ્યું.
રૂપાણી પરિવાર દ્વારા આયોજિત આ વિધિમાં સ્વ. વિજયભાઈના ધર્મપત્ની અંજલિબેન અને પુત્ર ઋષભ સહિત પરિવારના અન્ય સભ્યો અને નિકટના સ્વજનો જોડાયા હતા. સ્થાનિક ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તમામ વિધિઓ સંપન્ન કરવામાં આવી હતી.
આ દુઃખદ પ્રસંગે સ્વ. વિજયભાઈ રૂપાણીના અસંખ્ય સ્થાનિક ચાહકો અને સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સૌની આંખોમાં શોક અને દુઃખ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું હતું. ગુજરાતના રાજકારણમાં તેમનું યોગદાન અને તેમની લોકપ્રિયતાને કારણે તેમનું અકાળે અવસાન સૌ કોઈ માટે આઘાતજનક રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171, લંડન જતી વખતે ટેકઓફ બાદ થોડી મિનિટોમાં મેઘાણીનગર નજીક ક્રેશ થઈ. ઘટના બપોરના 1.40ની આસપાસ બની હતી. આ બોઈંગ 787 ડ્રીમલાઈનરમાં 230 મુસાફરો, 10 ક્રુ મેમ્બર, બે પાઈલટ સવાર હતા.દુર્ઘટનામાં માત્ર એક વ્યક્તિ બચી, બાકીના તમામના મોત થયા હતા.. વિમાન BJ મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે અથડાયું, જેમાં 4 મેડિકલ વિદ્યાર્થીઓના પણ મોત થયા છે. તમામ મુસાફરો એટલી હદ સુધી સળગી ગયા હતા કે ડીએનએ દ્વારા ઓળખ કરાઈ રહી છે.
