Rajkot: યુટ્યુબર બન્ની ગજેરા ફરીથી વિવાદમાં, રાજકોટના વેપારીને ઊંચા વળતરની લાલચ આપી રૂ.3.60 લાખનો ઘુંબો માર્યો

બન્નીએ 'મારી પાસે તારા બધા વોટ્સએપ ચેટ છે. મજા કર, નહીંતર નવી તારીખ ભરવા તૈયાર રહેજે' કહી કોઈ ગુનામાં ફિટ કરાવીદેવાની ધમકી આપતા વેપારીને પોતાની સાથે ઠગાઈનું ભાન થયું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 02 Dec 2025 09:07 PM (IST)Updated: Tue, 02 Dec 2025 09:07 PM (IST)
rajkot-news-fir-agianst-youtuber-banni-gajera-in-rs-3-60-lakh-fraud-case-in-jetpur
HIGHLIGHTS
  • જેતપુરની જેલમાં મળ્યા ત્યારે મોટી કંપનીમાં એજન્ટ હોવાનું કહી વેપારીને શીશામાં ઉતાર્યો

Rajkot: જેતપુરના વિવાદીત યુટ્યુબર સોશિયલ મીડિયા ઈન્ફલૂએન્સર બન્ની ગજેરાએ રાજકોટમાં રહેતા વેપારીને પોતે એક કંપનીમાં એજન્ટ હોવાનું જણાવી તેમાં રોકાણ કરવાથી સારો એવો ફાયદો થવાની લાલચ આપી રૂ.3.60 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.જેતપુર જેલમાં બન્ને સાથે રાજકોટના વેપારીનો ભેટો થયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આ અંગે મળતી વિગતો મુજબ, રાજકોટમાં ઇમિટેશન જવેલરીનું કામ કરતા મૂળ ગોંડલના કશ્યપ કિશોરભાઈ રામાણીએ સોશિયલ મીડિયા ઈન્ફલૂએન્સર બન્ની ગજેરા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, જૂન મહિનામાં કિશોર એક ગુનાના કામસર જેતપુરની સબ જેલમાં કેદ હતો, ત્યારે જેલમાં આવેલ જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે રહેતો ભાવિન ઉર્ફે બન્ની ગોરધનભાઈ ગજેરા મળેલ હતો.

કશ્યપને મામા દેવમાં આસ્થા હોય તે અવારનવાર કમઢીયા મામાદેવના મંદિરે જતો ત્યાં તેમને બન્ની મળેલ એટલે બન્ની સાથે પહેલાથી જ ઓળખાણ હતી. પોતાની આર્થિક સ્થિતિ નબળી હોવાની વાતથી બન્ની ગજેરા માહિતગાર હોય તેણે કશ્યપને જણાવેલ કે મારી પાસે એક કંપનીનું બસો કરોડ રૂપિયાનું કામ છે, તેમાં હું એજન્ટ છું. તેમાં રોકાણ કર એટલે તને સારું વળતર મળશે જેથી કશ્યપ બન્ની વાતમાં આવીને જેલમાંથી છૂટયા બાદ કટકે કટકે રોકડ તેમજ યુપીઆઈથી 3.60 લાખ રૂપિયા બન્નીને રોકાણ કરવા આપી હતી.

જે બાદ રોકાણ કરેલ 3.60 લાખ રૂપિયા વિશે બન્નીને ઘણીવાર કશ્યપે પૂછ્યું, પરંતુ તે બાબતનો કઈ જવાબ આપતો નહતો. એકાદ મહિના પૂર્વે બન્નીએ તેને વોટ્સએપ મેસેજમાં ગાળો આપી અને મારી પાસે તારા બધા વોટ્સએપ ચેટ છે મજા મજા કર નવી તારીખ ભરવા તૈયાર રહેજે તેમ કહી કોઈ ગુન્હામાં ફિટ કરી દેવા ધમકી આપી હતી. આથી કશ્યપને પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનું અહેસાસ થતા જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં બન્ની ગજેરા વિરુદ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાવી હતી.