Rajkot: શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા પ્રૌઢે પોતાની પુત્રીના લગ્નના 8 દિવસ બાદ જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ રાજ રેસિડન્સીમાં રહેતા રાજેન્દ્રસિંહ મહિપતસિંહ ગોહિલ (54)એ આજે સવારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. રાજેન્દ્રસિંહને લટકેલા જોતા પરિવારના સભ્યો તેમને બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને રાજેન્દ્રસિંહને મૃત જાહેર કર્યાં હતા. આ બાબતની જાણ થતાં પ્ર.નગર પોલીસની ટીમે હોસ્પિટલ જઈને જરૂરી કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક રાજેન્દ્રસિંહને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. આજથી 8 દિવસ અગાઉ જ તેમની એક દીકરીને લગ્ન કરીને સાસરે વળાવવામાં આવી હતી. એવામાં પિતાએ પણ માનસિક બીમારીથી અંતિમ પગલું ભરી લેતા પરિવારના માથે આભ ફાટી પડ્યું છે.
