Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં સામુહિક આપઘાતની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ પોતાના બે સંતાનોને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે પણ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધુ છે. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ કોટડા સાંગણીના સાંઢવાયા ગામના વતની જયપાલ તોગડિયા (35) ગોંડલમાં સિમેન્ટનું કારખાનું ધરાવે છે. આજે સવારે જયપાલભાઈ આજે સવારે પોતાના બે સંતાનો પુત્ર મિશ્ર (15) અને રિવા (10)ને ઘરેથી પોતાના કારખાને લઈ જવાનું કહીને નીકળ્યા હતા.
આ પણ વાંચો
બન્ને સંતાનોની હત્યા બાદ પિતાએ જીવન ટૂંકાવ્યું
જ્યાં જયપાલભાઈએ બન્ને સંતાનોનું ગળું ઘોંટીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બાદ કારખાનાના પંખા સાથે દોરડું બાંધીને જયપાલભાઈએ પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ બાબતની જાણ થતાં ગોંડલ શહેર એ-ડિવિઝન પોલીસની ટીમ, એમ્બ્યુલન્સ સહિતનો કાફલો તાત્કાલિક કારખાને દોડી આવ્યો હતો. જ્યાં પંચનામું કર્યાં બાદ ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આપઘાતનું કારણ જાણવા પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં મોતને ભેટેલા બન્ને સંતાનો અભ્યાસમાં તેજસ્વી હતા. હાલ તો જયપાલ તોગડિયાના અંતિમ પગલું ભરવા પાછળ આર્થિક સંકડામણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
