'તું કેમ સિકંદર ભેગો રખડે છે'- રાજકોટમાં બે જૂથ વચ્ચેની અદાવત ફરી હિંસક બની, ટોળાએ ઝપટે ચડેલા યુવકના હાથ-પગ ભાંગી નાંખતા તંગદિલી

ભગવતીપરાના આઝાદ ચોકમાં રિક્ષા આંતરી ધોકા-પાઈપ લઈને તૂટી પડ્યા. રિક્ષામાં પણ તોડફોડ કરી. ઘાયલ યુવકને સારવાર અર્થે ખસેડાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 19 Nov 2025 05:50 PM (IST)Updated: Wed, 19 Nov 2025 05:50 PM (IST)
rajkot-news-crowd-attack-on-youth-with-stick-and-pipe-at-bhagwatipara
HIGHLIGHTS
  • સ્કૂટર પર પીછો કરી પાંચ શખ્સોએ હુમલો કર્યો

Rajkot: રાજકોટ શહેરમાં ગુનાખોરી વધી રહી છે. તાજેતરમાં પેંડા ગેંગ અને મરઘા ગેંગ વચ્ચે થયેલી અદાવત બાદ ભગવતીપરામાં બે જૂથ વચ્ચેની ચાલતી માથાકૂટમાં ફરી અદાવત ભડકી હતી. જેમાં બે મિત્રોની રિક્ષાને આંતરી છ થી સાત શખ્સોએ હુમલો કરી એક એક યુવાનના બંને પગ ભાંગી નાખી અને રિક્ષામાં પણ તોડફોડ કરતાં મામલો તંગ બની ગયો હતો. આ બનાવની જાણ થતા બી-ડિવિઝન પોલીસ સાથે ક્રાઈમ બ્રાંચ અને SOGની ટીમ તાત્કાલિક ભગવતીપરા ખાતે દોડી ગઈ હતી. હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવની મળતી વિગતો મુજબ, ભગવતીપરા હુશેનીયા મસ્જીદ પાસ રહેતો સમીર અયુભાઈ સોરા (ઉ.5.27) અને તેનો મિત્ર રાધાકૃષ્ણ મંદિર પાછળ રહેતો ટ્રક ડ્રાઇવર સિકંદર હારૂનભાઈ રાઉમા (ઉવ 25) રિક્ષામાં બેસી સાથે ચા પીવા ગયો હતો.

આ સમયે રસ્તાના પાંચ જેટલા બાઈકમાં તેનો પીછો કરી આઝમ ચોકમાં રિક્ષાને આંતરી ધોકા-પાઈપથી છ એક શખ્સોએ હુમલો કરી સમીરના બંને પગ ભાંગી નાખ્યા હતા. તેમજ હુમલાખોરોએ સિકંદરની રિક્ષામાં પણ તોડફોડ કરી, હુમલાખોરો ભાગી ગયા હતાં. ઈજાગ્રસ્ત સમીરને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ બનાવની જાણ થતા બી-ડિવીઝન પીઆઈ એસ. એસ. રાણે સાથે ક્રિપાલસિંહ તેમજ ક્રાઈમ બ્રાંચ અને એસઓજીનો સ્ટાફ ભગવતીપરા તેમજ ઈજાગ્રસ્ત જ્યાં દાખલ છે ત્યાં હોસ્પિટલે દોડી આવ્યો હતો.

આ હુમલામાં ઘાયલ થયેલા સમીર સોરાએ પોલીસ ને જણાવ્યું હતું કે ભગવતીપરાના જાહીદ ઉર્ફ જાવલો યુસુક્ભાઈ, ગૌરાંગ ઉર્ફ ગવલો ગૌસ્વામી તેમજ જગદીશ મંડપ સર્વિસવાળાના ત્રણ છોકરા સહિતનાએ આંતરી હુમલો કર્યો હતો. સમીરને હુમલાખોર જાવલો, ગૌરવ સહિતે 'તું કેમ સિકંદર ભેગો રખડે છે' તેમ કહી હુમલો કરી ભાગી ગયા હતા.

મિત્ર સિકંદર રાઉમાના ભાઈને વર્ષો પહેલા ગૌરાંગ ઉર્ફ ગવલાના પિતા અરવિંદભાઈ ગોસ્વામી જે ચાઈનીઝ રેસ્ટોરન્ટ ચલાવે છે તેની સાથે ગાળાગાળી મામલે માથાકુટ થઇ હતી અને તે વખતે ફરિયાદ પણ થઈ હતી, ત્યારથી ગવલો, તેનો ભાઈબંધ જાહીદ ઉર્ફ જાવલો સહિતના મિત્ર સિકંદર સાથે અવાર નવાર માથાકુટ કરતાં રહે છે .

આજે સમીર મિત્ર સિકંદરની સાથે હતો ત્યારે હુમલો કરાયો હતો. જેમાં સિકંદરને હાથમાંથી સામાન્ય ઈજા છે, પણ તે ભાગી છૂટ્યો હતો. જ્યારે સમીર હાથમાં આવી જતા બેફામ માર મારી બંને પગ ભાંગી નાખ્યા હતા.