Rajkot: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા 'ગુજરાત શિક્ષણ બચાવો' આંદોલનનો આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રારંભ થયો હતો. જે અંતર્ગત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં 500થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓએ યુનિવર્સિટી કેમ્પસમાં એક કલાક સુધી ધરણા પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતાં 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
આ આંદોલન દરમિયાન કુલપતિ ડો. ઉત્પલ જોષી પોતે આવેદનપત્ર સ્વીકારવા આવ્યા હતા. જો કે આ સમયે પાછળથી NSUIના કાર્યકરોએ મુખ્ય બિલ્ડિંગના ગેટમાંથી બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
આ ઘર્ષણમાં મુખ્ય દરવાજાનો કાચ તૂટી ગયો હતો. જેના પગલે પોલીસે કોંગ્રેસ અને NSUIના 50 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસના આગેવાનોએ સરકારી યુનિવર્સિટીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે,
- સરકારી યુનિવર્સિટીઓ સામે ભેદભાવ: ખાનગી યુનિવર્સિટીઓને 'એડમિશન લો અને ડિગ્રી લઈ જાઓ' પ્રકારની પ્રક્રિયા દ્વારા સરકારી યુનિવર્સિટીઓને ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ માત્ર સરકારી યુનિવર્સિટીઓ માટે જ ફરજિયાત છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીઓને તેમાંથી બાકાત રખાઈ છે.
- વિકાસ કાર્યોમાં વિલંબ અને ભ્રષ્ટાચાર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રૂ. 10 કરોડનો હોલ 10 વર્ષે પણ તૈયાર થયો નથી.
- ગેરકાયદેસર પ્રવૃત્તિઓ: યુનિવર્સિટી કેમ્પસની આસપાસ ડ્રગ્સ જેવા દૂષણોનો કાળો કારોબાર ચાલે છે અને દબાણો પણ થઈ રહ્યા છે.
- ભરતી અને પરીક્ષામાં અનિયમિતતા: કાયમી ભરતીને બદલે કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓ કરવામાં આવે છે, જેના કારણે પરીક્ષાના પરિણામો મોડા જાહેર થાય છે અને અનેક છબરડા સામે આવે છે.
- PhDની બેઠકોમાં ઘટાડો: યુનિવર્સિટીમાં PhDની બેઠકો 400થી ઘટીને 100 થઈ ગઈ છે, જેના કારણે અનેક વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરવાથી વંચિત રહે છે અને તેમને ખાનગી યુનિવર્સિટીઓમાં ઊંચા ખર્ચે અભ્યાસ કરવો પડે છે.
