Rajkot: હેલ્મેટના કાયદાની કડક અમલવારીના બદલે ગાંધીગીરી કરો, મનપા ચૂંટણીમાં નુકસાનની ભીતિએ ભાજપ ધારાસભ્યોની ગૃહમંત્રીને રજૂઆત

દંડ ઉઘરાવવાની જગ્યાએ ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ અંગે લોકોમાં જાગૃતિ કેળવવાય તેવા પ્રયાસ કરવા રજૂઆત કરવામાં આવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 09 Sep 2025 07:07 PM (IST)Updated: Tue, 09 Sep 2025 07:07 PM (IST)
rajkot-news-bjp-mla-meet-harsh-sanghavi-over-traffic-police-helmet-driver-across-the-city
HIGHLIGHTS
  • ઉદય કાનગડ, ડૉ. દર્શિતા શાહ અને રમેશ ટીલાળા હર્ષ સંઘવીને મળ્યા
  • હેલ્મેટ મુદ્દે અમે રાજકોટની જનતાની સાથે જ છીએ: ભાજપના ધારાસભ્યો

Rajkot: રાજકોટ શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત કરવામાં આવતા જ શહેરીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે લોકોનો આક્રોશ જોઇ ભાજપના ધારાસભ્યો પણ સક્રિય થયા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને નુકસાન ના જાય, તે માટે હેલ્મેટના કાયદાની કડક અમલવારી નહીં કરવા સરકારમાં ધા નાખી છે.

રાજકોટના ભાજપના ધારાસભ્યો ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ તથા રમેશભાઇ ટીલાળા આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળ્યા હતા અને હેલમેટના કાયદાની અચાનક કડક અમલવારી તથા દંડ ઉઘરાવવાના બદલે હાલ ગુલાબનું ફુલ આપી હેલ્મેટ અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તેવા પ્રયાસો કરવા રજૂઆત કરી હતી.

ધારાસભ્યોએ વાહન ચાલકો સાથે બળજબરી કરવાના બદલે સ્વૈચ્છીક હેલમેટ પહેરતા થાય તેવા પ્રયાસો કરવા રજૂઆત કરી હતી. જેના પગલે ગૃહમંત્રીએ પણ રાજકોટ પોલીસને હેલ્મેટના કાયદાનો અમલ કડકાઇ પૂર્વક નહીં કરવા સુચના આપી હોવાનું ધારાસભ્યોએ જણાવ્યું હતું.

રાજકોટના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે, હેલ્મેટના મામલે અમે રાજકોટની જનતા સાથે છીએ. વાહન ચાલકો હેલ્મેટ પહેરે તે માટે જાગૃતિ કેળવવા છેલ્લા બે માસથી કાર્યક્રમો ચાલી રહ્યા હતા. ગઇકાલથી પોલીસે અચાનક કડક અમલવારી શરૂ કરતા લોકોમાં નારાજગી જોવા મળી છે, ત્યારે કડક અમલવારીના બદલે વાહન ચાલકોને જાગૃત કરી સ્વયં હેલમેટ પહેરતા થાય તેવા પ્રયાસો કરવા રજૂઆત કરાઇ હતી. અમે પણ આગ્રહ કરીએ છીએ કે વાહન ચાલકોએ સલામતી માટે હેલ્મેટ પહેરવી જોઇએ.