Rajkot Jangleshwar Demolition: રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની મેગા ડિમોલિશન કામગીરી બીજા દિવસે પણ પુરજોશમાં ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં 1224થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, જેને કારણે નદીકાંઠાનો વિસ્તાર હવે કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયો છે. સમગ્ર જંગલેશ્વરમાં હાલ ફક્ત JCB અને હિટાચી મશીનોનો ગુંજારવ જ સંભળાઈ રહ્યો છે. આજે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
આજે બાકીના 300 દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ
આ પણ વાંચો
મહાનગરપાલિકા દ્વારા કુલ સાત ઝોન નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ ઝોન ફક્ત નદી કાંઠા પરના દબાણો દૂર કરવા માટે આરક્ષિત છે. આ ઝોનમાં અંદાજે 900 જેટલા દબાણો હતા, જેમાંથી ગઈકાલે 600 દબાણો દૂર કરાયા હતા અને આજે બાકીના 300 દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.
નોંધનીય છે કે, નદીના પટ્ટમાં ઘણા મકાનો ત્રણથી ચાર માળના પાકા અને લોડ બેરિંગ સ્ટ્રક્ચરવાળા હોવાથી તેમને તોડવા માટે સામાન્ય JCB મશીનો અપૂરતા સાબિત થયા હતા. આથી, આવા મકાનોને તોડવા માટે અત્યાધુનિક હિટાચી મશીનોની મદદ લેવામાં આવી રહી છે, જેની રેન્જ JCB કરતાં વધુ છે.
ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પરેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અહીં આંશિક અને પૂર્ણ કપાત ગણીને કુલ 1500 જેટલા મકાનો છે. જેમાંથી ગઈકાલે 900થી 1000ની વચ્ચે મકાનોનું ડિમોલિશન કરાયું હતું. આજે સાંજ સુધીમાં અમે આ કામગીરી સંપૂર્ણપણે પૂરી કરી દેવાના છીએ. નદીકાંઠાના વિસ્તારમાં જે મૂળ બાઉન્ડ્રી લાઇન છે, તેમાં લોકો વર્ષોથી થોડા-થોડા આગળ વધતા ગયા છે.
1500થી 2000 ફૂટના પાકા બાંધકામો કરી દીધા
તેમણે વધુમાં ઉમેર્યું કે, દર વર્ષે ચોમાસામાં પૂરની સ્થિતિમાં આ લોકોને રેસ્ક્યૂ કરવા પડે છે, જે એક બહુ ગંભીર પ્રશ્ન છે. ઘણીવાર અમારી રેસ્ક્યૂ ટીમ પણ ફસાઈ જાય તેવી સ્થિતિ ઊભી થાય છે, એટલે પાણીના વહેણને પૂરતી જગ્યા મળે તે માટે આ ડિમોલિશન કરવું ખૂબ જ જરૂરી હતું. લોકોએ 70થી 100 વારની જગ્યામાં 1500થી 2000 ફૂટના પાકા બાંધકામો કરી દીધા હતા, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર હતા.
ફૂટ પેટ્રોલિંગ સતત બીજા દિવસે પણ ચાલુ
આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, SAF (સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ)ના જવાનો અને અન્ય અધિકારીઓનું ફૂટ પેટ્રોલિંગ સતત બીજા દિવસે પણ ચાલુ છે. જંગલેશ્વર શેરી નં. 24 માં એક માનસિક અસ્થિર વ્યક્તિ ડિમોલિશન થતી જગ્યા પર ઘૂસી જતા પોલીસે તેની તાત્કાલિક અટકાયત કરી સ્થળ પરથી દૂર કર્યો હતો.
