Rajkot Lok Mela: રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાયેલા પાંચ દિવસીય લોકમેળાની પૂર્ણાહુતિ બાદ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેળાગ્રાઉન્ડને સ્વચ્છ અને પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. મેળા દરમિયાન લાખો લોકોની જનમેદની ઉમટી પડતાં ગ્રાઉન્ડ પર આશરે 115 ટન જેટલો જંગી કચરો એકત્ર થયો હતો, જેને હટાવવા માટે તંત્રએ પૂરી તાકાત લગાવી દીધી છે.
મેળા ગ્રાઉન્ડમાંથી કુલ 115 ટન કચરો એકત્ર કરી યોગ્ય સ્થળે ખસેડાયો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના 290 કર્મચારીઓ દિવસ-રાત શિફ્ટ મુજબ સફાઈમાં તહેનાત. 25 ટીપર વાન, JCB મશીન અને ડમ્પરો દ્વારા કચરાનો ઝડપી ઉપાડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાઈડ્સ અને સ્ટોલ હટાવવાની (ડિસ્મેન્ટલ) પ્રક્રિયામાં વધુ 120 કર્મચારીઓ કાર્યરત છે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, મુલાકાતીઓને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ મળે તે માટે પ્રારંભથી જ ખાસ આયોજન હતું. મેળા દરમિયાન દૈનિક સફાઈ બાદ હવે આખા ગ્રાઉન્ડને મૂળ સ્થિતિમાં લાવવા મનપાનો કાફલો સતત કાર્યરત છે. આગામી 15 સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર રેસકોર્સ ગ્રાઉન્ડ સંપૂર્ણપણે સાફ કરી પૂર્વવત કરી દેવામાં આવશે.
