Rajkot: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળના પારડી ગામમાં 26 વર્ષીય પરિણીતાએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલાની તબિયત લથડતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ધોરાજીના ભુખી ગામમાં રહેતી રેશ્માબેન વાસુકીયા (26)ના સાત વર્ષ પૂર્વે લગ્ન થયા છે. હાલ રેશ્માબેન પારડી ગામમાં રહે છે, જ્યારે તેમના પતિ ગૌતમભાઈ કડિયા કામ કરે છે. ગઈકાલે બપોરના સમયે રેશ્માબેને પોતાના ઘરે ફિનાઈલ પી લીધુ હતુ.
સિવિલ હોસ્પિટલમાં સારવર લઈ રહેલ રેશ્માબેન વાસુકીયાએ જણાવ્યું કે, તેમનો પતિ ત્રણેક મહિનાથી અન્ય મહિલાને લઈને ભાગી જતાં પોતે નાસીપાસ થઈને આત્યંતિક પગલું ભર્યું હતુ.
પતિ સાથે ઝઘડો થતાં અન્ય બે પરિણીતાઓએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો
બીજી ઘટના નાના મવા રોડ પરથી સામે આવી છે. જેમાં આવાસ યોજનામાં રહેતા પ્રિયાબેન પરમાર (26) નામની મહિલાએ કેટરર્સનું કામ કરતાં પતિ સાથે ઝઘડો થયા બાદ ફિનાઈલ પી લીધુ હતુ.
અન્ય બનાવમાં મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલી માલધારી સોસાયટીમાં રહેતા સુમિતબેન શર્માએ કારખાનામાં મજૂરી કરતાં પોતાન પતિ જીતેન્દ્ર શર્મા સાથે માથાકૂટ થયા બાદ એસિડ પી આયખું ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
