Nitin Jani: સોશિયલ મીડિયા સ્ટાર અને સમાજસેવક નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈએ ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરવાની મોટી જાહેરાત કરી છે. ખજૂરભાઈએ વર્ષ 2027 ની વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે, જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
નીતિન જાની રાજનિતીમા જોડાશે
ખજૂરભાઈએ રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, "તમારી દયા હશે તો હું પણ ઉભો રહેવાનો છું." આ સાથે જ તેમણે ભણેલા યુવાનોને પણ ચૂંટણી લડવા માટે આહ્વાન કર્યું છે અને ઉમેર્યું કે, "પાર્ટી ગમે એ હોય, ઈલેક્શનમાં વટ્ટથી ઉતરજો."
ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી
બારડોલીના રહેવાસી ખજૂરભાઈ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેમણે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા અનેક બેઘર લોકોને આશિયાનો પૂરો પાડ્યો છે અને તેમને ઘરનું ઘર અપાવ્યું છે. તેમની આ સક્રિય સેવાકીય ભૂમિકા બાદ હવે રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાતને કારણે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, હજુ સુધી ખજુરભાઈ કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં ખજુરભાઈની મોટી ફેન ફોલોઈંગ છે. તેમની કોમેડી તો લોકોને પસંદ આવે જ છે સાથે સાથે તેમની સેવાકીય કામગીરીને કારણે પણ તેઓ સતત ચર્ચામાં રહેતા હોય છે.
