Patan News: પાટણ જિલ્લાના રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. આણંદથી રાપર જતી એસટી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બન્ને ડ્રાઇવર અને કન્ડક્ટરના મોત નીપજ્યાં છે. જ્યારે બસમાં સવાર 6 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે રાધનપુરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા. અકસ્માતના પગલે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, રાધનપુરના ખારીયા નદીના પુલ પાસે આવેલા રાપરિયા હનુમાન આગળ રાત્રે 2 વાગ્યાની આસપાસ આણંદથી રાપર એસટી બસ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બન્ને વાહનોના આગળના ભાગનો ફૂરચો બોલી ગયો હતો. ગંભીર ઇજાઓ પહોંચતા બસના ડ્રાઇવર-કન્ડક્ટર અને ટ્રકના ડ્રાઇવર-કન્ડક્ટરનું મોત નીપજ્યું હતું. આ સમાચાર તમે ગુજરાતી જાગરણ પર વાંચી રહ્યા છો. હવે ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ નવાજ લે આઉટમાં આવી ગઈ છે. એકવાર જરૂર ટ્રાય કરો.
બનાવ અંગે પોલીસ અને 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા હતા. બસ અને ટ્રક વચ્ચે થયેલો અકસ્માત એટલો ભંયકર હતો કે બન્ને વાહનોને ક્રેનની મદદથી અલગ કરવા પડ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બસમાં સવાર 6 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જોકે પોલીસે પૂર્વરત કર્યો હતો.
