Patan: ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે વીજ કરંટના બનાવો પણ સામે આવી રહ્યાં છે. એવામાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સુરકા ગામે એક જ પરિવારના 5 સભ્યોને વીજ કરંટ લાગ્યો હોવાનો બનાવ બન્યો છે. જેમાં પરિવારના મોભીનું મોત થયું છે, જ્યારે અન્ય 4 સભ્યોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સૂરકા ગામના પૂર્વ સરપંચ વીરચંદજી ઠાકોરના પરિવારને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં વીરચંદજી ઠાકોરનું વીજ કરંટના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. જ્યારે તેમના પત્ની, પુત્રી, પુત્રવધુ અને પૌત્રને ગંભીર હાલતમાં રાધનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં ઘરમાં રહેલી ઈલેક્ટ્રિક બોર્ડની સ્વીચ ચાલુ કરતી વખતે કરંટ લાગવાની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો મૃતક વીરચંદ ઠાકોરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ બનાવના પગલે નાના એવા સુરકા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
