Karsan Patel News: પાટણમાં ગઇકાલે રવિવારના રોજ 42 લેઉટા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત રહેલા જાણીતા ઉદ્યોગપતિ અને નિરમા કંપનીના માલિક કરશન પટેલ દ્વારા એક સ્ફોટક નિવેદન કરવામાં આવ્યું છે. જેમાં તેમણે 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલનને ટાંકીને કહ્યું હતું કે, આ આંદોલનના કારણે પાટીદાર દીકરીએ પોતાનું મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું. ખરેખર આ આંદોલન અનામત માટે હતું કે કોઇને કાઢવા માટે. આંદોલન કરનારાએ પોતાનો રાજકીય રોટલો શેક્યો છે.
કરશન પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ એટલે ખેડૂત. ખેડૂતે કોઇ દિવસ કોઇની સામે હાથ નથી લંબાવ્યો. કોઇને કંઇને કંઇ આપ્યું જ છે. આપણે ત્યાં અનામત આંદોલન થયું હતું. પાટીદારોએ જ આંદોલન કર્યું હતું. એમને શું મળ્યું. કંઇ નહીં. આપણા યુવાનો શહિદ થયા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જેમણે આંદોલન કર્યું હતું તેમણે તેમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં પાટીદારની છોકરી અને એપણ લેવા પાટીદારની છોકરી મુખ્યમંત્રી હતી તેને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઇને કાઢવાનું હતું. પટેલો પટેલોને જ કાઢે એ તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે.
તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લે પાટણમાં જે કંઇ બન્યું તેનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો. પાટણની ઘટના બે રીતે દુઃખદ છે. જે બન્યું એ નહોતું બનવું જોઇતું. બન્યા પછી કોઇ રિએક્શન ન આવ્યું એ એટલું જ ખરાબ છે. જે રીતે ફરિયાદ કરનારની બદલી થઇ. એટલે ભવિષ્યમાં કોઇ ફરિયાદ કરતો હશે તો પણ નહીં કરે. એને એવોર્ડ મળવો જોઇતો હતો તેના બદલે તેની બદલી થઇ ગઇ.
