Panchmahal News: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વરસડા ગામમાં પરંપરા અને સામાજિક મર્યાદા જાળવવાના ઉદ્દશ્ય સાથે એક કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગામના રામદેવજી મંદિરના પ્રાંગણમાં યોજાયેલી વિશેષ બેઠકમાં સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, તમામ સમાજના આગેવાનો અને ગ્રામજનોએ એક સૂરે ઐતિહાસિક ઠરાવ કર્યો છે.
ગામના આગેવાનોએ નિર્ણય લીધો
યોજાયેલી બેઠકમાં ગામના આગેવાનોએ ગામની પરંપરા, સામાજિક વ્યવસ્થા મુદ્દે ચર્ચા કરી હતી. સર્વ સમાજની બેઠકમાં ગામના આગેવાનોએ નિર્ણય લીધો કે, ગામના કોઇ પણ સમાજનો દીકરો કે દિકરી સમાજ કે પરિવારની મંજૂરી વિના ભાગીને લગ્ન કરશે તો તેને સમાજ વિરોધી પગલું ગણવામાં આવશે, તેમજ તેમને ગામમાં પ્રવેશ કે રહેવા દેવાની મંજૂરી અપાશે નહી.
સમાજ વિરોધી પગલું ગણવામાં આવશે
રામદેવ મંદિરના આંગણામાં લેવાયેલ નિર્ણયનો સત્તાવાર ઠરાવ તૈયાર કરીને તેને સંબંધિત કચેરીઓમાં મોકલવામાં આવશે. ગામના આગેવાનોએ જણાવ્યું કે, આ પ્રકારના કિસ્સામાં સંબંધિત યુવક કે યુવતી ગામની બહાર રહેવું હોય તો તે રહી શકશે. પરંતુ તેમને ગામમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે નહી. ગામના સર્વ સમાજના લોકોની સહમતીથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગામના સરપંચે શું કહ્યું?
વરસડા ગામના સરપંચ સૂર્યકાન્ત શાહના જણાવ્યા પ્રમાણે, ગામની સામાજિક વ્યવસ્થા અને શિસ્ત જળવાઈ રહે તે માટે પંચો, ગામના આગેવાનો અને ગ્રામજનોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. સમાજના વિરોધમાં જઈને પગલું ભરનારા વ્યક્તિ ગામની અંદર રહી શકશે નહી.
