અંબાજી મંદિર ટ્રસ્ટની મોટી જાહેરાત: ‘જય અંબે તિથિ ભોજન’ યોજના અંતર્ગત માઈભક્તો બની શકશે આજીવન ભોજન દાતા; 18 ફેબ્રુઆરીએ નોંધણી સમારોહ

મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ યોજનામાં શ્રદ્ધાળુઓ પોતાની પસંદગીની કોઈ ખાસ તિથિ કે તારીખે આજીવન દાતા બની શકશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 16 Feb 2026 12:08 PM (IST)Updated: Mon, 16 Feb 2026 12:08 PM (IST)
opportunity-to-become-a-food-donor-under-jai-ambe-tithi-bhojan-scheme-by-ambaji-mandir-devasthan-trust

Jai Ambe Tithi Bhojan: 51 શક્તિપીઠોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા અંબાજી શક્તિપીઠ ખાતે માતાજીના દર્શને આવતા લાખો યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક ભોજન પ્રસાદની વ્યવસ્થા 'અંબિકા અન્નક્ષેત્ર' ખાતે ચલાવવામાં આવે છે. આ સેવાયજ્ઞને વધુ વ્યાપક અને લોકભાગીદારી વાળો બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા નવી યોજના અમલમાં મૂકાઈ છે.

શું છે ‘જય અંબે તિથિ ભોજન’ યોજના?

મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ યોજનામાં શ્રદ્ધાળુઓ પોતાની પસંદગીની કોઈ ખાસ તિથિ કે તારીખે આજીવન દાતા બની શકશે.

  • દાનની રકમ: જે દાતા રૂા. 1,51,000/- (એક લાખ એકાવન હજાર) નું દાન અર્પણ કરશે, તેઓ આજીવન તે નિશ્ચિત તિથિના દાતા તરીકે નોંધાશે.
  • વિશેષ સન્માન: દાતાએ પસંદ કરેલી તિથિએ દર વર્ષે ‘અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે તેમના નામની તકતી લગાવીને વિશેષ પ્રસિદ્ધિ કરવામાં આવશે.
  • વધુ દિવસો માટે દાન: કોઈ દાતા એકથી વધુ દિવસ માટે જોડાવા ઈચ્છતા હોય તો તેઓ તે મુજબના ગુણાંકમાં દાન આપી શકશે.

18 ફેબ્રુઆરીએ ભવ્ય સન્માન અને નોંધણી કાર્યક્રમ

આ યોજનાના આગોતરા આયોજન અને દાતાઓને પ્રોત્સાહિત કરવા માટે આગામી 18 ફેબ્રુઆરી 2026 (ફાગણ સુદ-1) ના રોજ સવારે 11:00 કલાકે અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દાતાશ્રીઓની નોંધણી કરવામાં આવશે અને તેમનું સન્માન પણ કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ માઈભક્તોને આ ઉમદા કાર્યમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અંબિકા અન્નક્ષેત્ર: હજારો ભક્તો લે છે પ્રસાદનો લાભ

અત્યારે પણ અંબાજીમાં ભોજન પ્રસાદની વ્યવસ્થા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે:

  • સમય: સવારે 10:30 થી બપોરે 3:00 અને સાંજે 6:00 થી રાત્રે 9:30 કલાક સુધી.
  • મેનુ: સવારે પૂરી-શાક, દાળ-ભાત અને રાત્રે ભાખરી, શાક તથા કઢી-ખીચડી પીરસાય છે.
  • વિશેષ પ્રસાદ: દર રવિવારે, આઠમ અને પૂનમના દિવસે મોહનથાળનો મિષ્ટાન પ્રસાદ પીરસવામાં આવે છે.
  • ભક્તોની સંખ્યા: સામાન્ય દિવસોમાં અંદાજે 6,000 અને રવિવાર કે પૂનમ જેવા પર્વો પર 7,000 થી 8,000 ભક્તો અહીં તૃપ્ત થાય છે.

આ યોજનાથી અંબાજી આવતા યાત્રિકોને વધુ સારી સગવડ મળશે અને દાતાઓને પોતાની કમાણીનો અંશ માતાજીના ચરણોમાં 'અન્નસેવા' દ્વારા અર્પણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે.