MI vs PBKS: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં આજે નિર્ણાયક મેચ રમાવાની છે. જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સામ-સામે ટકરાશે. આ મેચમાં જે ટીમ વિજયી થશે, તે ફાઈનલ મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે રમશે. જો કે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધની નિર્ણાયક મેચ પૂર્વે પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીની કો-ફાઉન્ડર અને બૉલિવૂડ અભિનેત્રી બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી પહોંચીને માતાજીના દર્શન કર્યાં હતા.
હકીકતમાં RCB સામે હાર્યા બાદ પંજાબ કિંગ્સની ટીમને ક્વોલિફાયર મેચ રમવાનું નક્કી થઈ ગયું, ત્યારથી જ પ્રિતી ઝિંટા ગુજરાત આવી પહોંચી હતી. જ્યાં ગઈકાલે સાંજે સંધ્યા આરતી બાદ પ્રીતિ ઝિન્ટા ઉત્તર ગુજરાતમાં આવેલા શક્તિપીઠ ધામ પહોંચી હતી. જ્યાં પ્રીતિ ઝિન્ટાએ અંબે માતાના દર્શન કરવા ઉપરાંત વિશ્વના સૌથી મોટા શ્રીયંત્રની પણ પૂજા કરી હતી.
આ પણ વાંચો
પ્રીતિ ઝિન્ટા લગભગ 15 મિનિટ સુધી મંદિર પરિસરમાં રોકાઈ હતી. જો કે સુરક્ષા કારણોસર તેની આ મુલાકાત એકદમ ગુપ્ત રાખવામાં આવી હતી. પ્રીતિ ઝિન્ટા મંદિરના પાછળના પ્રવેશ દ્વારેથી ખાનગી સિક્યુરિટી અને ગુજરાત પોલીસના બંદોબસ્ત વચ્ચે મંદિરમાં પહોંચી હતી. પ્રીતિ ઝિન્ટાના કારણે અન્ય માઈભક્તોને માતાજીના દર્શન કરવા માટે થોડી રાહ જોવી પડી હતી.
ખાસ વાત એ છે કે, અંબાજીની મુલાકાત દરમિયાન પ્રીતિ ઝિન્ટાએ મીડિયાથી અંતર જાળવ્યું હતુ અને પૂજા પતાવ્યા પછી તે સીધી અમદાવાદ જવા માટે રવાના થઈ ગઈ હતી. આમ છતાં પ્રીતિ ઝિન્ટા આવી હોવાની જાણ થતાં અનેક મીડિયા કર્મીઓ મંદિર પહોંચી ગયા હતા.
