અંબાજીમાં જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ, અન્નસેવા માટે અનંત ‎અંબાણીએ રૂ. 27.50 કરોડનું દાન અર્પણ કર્યું‎

અંબાજી મંદિરમાં જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ થયો, જેમાં સવારે 10:30 થી 03:00 વાગ્યા સુધી અને સાંજે 06:00 થી 09:30 સુધી ભોજન સેવા ચાલુ રહેશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 19 Feb 2026 09:57 AM (IST)Updated: Thu, 19 Feb 2026 09:57 AM (IST)
ambaji-jai-ambe-tithi-bhojan-yojana-anant-ambani-donates-rs-27-crore
HIGHLIGHTS
  • અંબાજીમાં જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ
  • અનંત ‎અંબાણીએ રૂ. 27.50 કરોડનું દાન અર્પણ કર્યું‎
  • રવિવાર, પૂનમ, અષ્ટમીએ મોહનથાળ પ્રસાદનો લાભ

Jai Ambe Tithi Bhojan Yojana: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે બુધવારથી જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અન્ન સેવાની પહેલના પ્રથમ જ દિવસે રૂ. 30 કરોડથી વધુનું દાન એકત્ર થયું હતું. આ દાનમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને ઉદ્યોગપતિ અનંત અંબાણીએ મોટો ફાળો આપતા રૂ. 27.50 કરોડનું દાન અર્પણ કર્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના યાત્રાધામ અંબાજી મંદિર ખાતે શ્રદ્ધાળુઓની સુવિધા અને નિઃશુલ્ક અન્ન સેવાને મજબૂત બનાવવા બુધવારના રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તથા મંદિર ટ્રસ્ટ દ્વારા જય અંબે તિથિ ભોજન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે પોતાના હાથે ભક્તોને ભોજન પીરસ્યું હતું.

જય અંબે તિથિ ભોજન યોજના માટે દાતાઓએ મુક્ત હાથે દાન કર્યું હતું. પ્રથમ જ દિવસે દાતાઓના સહયોગથી રૂ. 30 કરોડથી વધુ રકમ એકત્ર થઈ હતી. જેમાં અમદાવાદના એક શ્રદ્ધાળુએ રૂ. 52 લાખ અર્પણ કર્યા હતા. જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ અને ઉદ્યોગપતિ અનંત અંબાણી દ્વારા રૂ. 27.50 કરોડનું ઉદાર દાન અર્પણ કરવામાં આવ્યું હતું.

અંબિકા અન્નક્ષેત્રમાં દરરોજ હજારો યાત્રાળુઓને ભોજન પ્રસાદ આપવામાં આવે છે. જેમાં સવારે 10:30 થી 03:00 વાગ્યા સુધી અને સાંજે 06:00 થી 09:30 સુધી સેવા ચાલુ રહે છે. રવિવાર, પૂનમ, અષ્ટમી એ મોહનથાળ પ્રસાદ આપવામાં આવે છે. જેમાં રૂ.1.51 લાખ દાન આપનાર દાતા નિશ્ચિત તિથિના મુખ્ય દાતા બનશે. આ દાતાઓ જન્મદિવસ, પુણ્યતિથિ કે લગ્ન પ્રસંગે જોડાઈ શકે છે.