અંબાજી-આબુરોડ રેલવે પ્રોજેક્ટ: 2.27 કિમી લાંબી ટનલનું કામ પૂરજોશમાં; હવે ટ્રેન માર્ગે માઉન્ટ આબુ જવું થશે વધુ સરળ અને ઝડપી

આ લાઇન શરૂ થવાથી ખાસ કરીને અમદાવાદથી માઉન્ટ આબુ અને અંબાજી જતા પ્રવાસીઓ માટે મુસાફરી વધુ આરામદાયક અને સમય બચાવનારી બની રહેશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 04 Mar 2026 09:12 AM (IST)Updated: Wed, 04 Mar 2026 09:12 AM (IST)
ambaji-abu-road-railway-project-work-on-2-27-km-long-tunnel-in-full-swing-now-travelling-to-mount-abu-by-train-will-be-easier-and-faster

Ambaji-Abu Road Railway Project: ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારો માટે જીવાદોરી સમાન તારંગા હિલ-અંબાજી-આબુરોડ રેલવે લાઇનનું નિર્માણ કાર્ય અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી નજીક ચીખલા ગામ ખાતે અરવલ્લીની ગીરીમાળામાં 2.27 કિમી લાંબી ટનલનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે, જેમાંથી 60 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.

મુસાફરીના અંતર અને સમયમાં થશે મોટો ઘટાડો

આ નવી રેલવે લાઇન અને ટનલના નિર્માણથી મુસાફરોને લાંબી અને કંટાળાજનક મુસાફરીમાંથી મુક્તિ મળશે:

  • અંતરમાં ઘટાડો: ટ્રેન મારફતે મુસાફરી કરતા પ્રવાસીઓ માટે અંદાજે 20 કિમી જેટલું અંતર ઘટી જશે.
  • સીધો માર્ગ: સમગ્ર પ્રોજેક્ટમાં લગભગ 8.7 કિમી જેટલા ભાગમાં ટનલ સીધા માર્ગે જશે, જેના કારણે મુસાફરી ઝડપી બનશે.
  • ટનલની વિગત: અંબાજી થી આબુરોડ વચ્ચે કુલ 14 કિમીની નાની-મોટી ટનલો બનાવવામાં આવી રહી છે. હાલમાં 700 મીટર ટનલ તૈયાર કરી દેવાઈ છે અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ટનલની અંદર ઓક્સિજન પહોંચાડવા વિશાળ વેન્ટિલેટર મશીનો પણ મૂકવામાં આવ્યા છે.

પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ

અંદાજીત રૂ. 2,798.16 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ નવી રેલવે લાઇન અનેક સુવિધાઓથી સજ્જ હશે:

  • કુલ લંબાઈ: આ નવી રેલવે લાઇન કુલ 115.65 કિમી લાંબી હશે.
  • રેલવે સ્ટેશન: તારંગાથી આબુ સુધીના રૂટ પર કુલ 15 નવા રેલવે સ્ટેશનો બનાવવામાં આવશે.
  • ઝડપ: આ રૂટ પર ટ્રેનની મહત્તમ ઝડપ 110 કિમી પ્રતિ કલાક રાખવાનું આયોજન છે.
  • સમય મર્યાદા: રેલવે વિભાગ દ્વારા આ કામગીરી વર્ષ 2027ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

શ્રદ્ધાળુઓ અને પર્યટકોને થશે સીધો ફાયદો

આ લાઇન શરૂ થવાથી ખાસ કરીને અમદાવાદથી માઉન્ટ આબુ અને અંબાજી જતા પ્રવાસીઓ માટે મુસાફરી વધુ આરામદાયક અને સમય બચાવનારી બની રહેશે. તારંગા અને અંબાજી આવતા શ્રદ્ધાળુઓ હવે સીધી રેલવે કનેક્ટિવિટીનો લાભ લઈ શકશે. આ ઉપરાંત, અંબાજી અને રાજસ્થાનના આબુ સાઇડના ગામોના વિકાસને પણ વેગ મળશે. હાલમાં ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે અને તેનું સતત મોનિટરિંગ જયપુરથી કરવામાં આવી રહ્યું છે. બંને રાજ્યોના હજારો મુસાફરો આ સુવિધા વહેલી તકે શરૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.