PM Modi Navsari Visit: ભારતના વડાપ્રધાન મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારીની મુલાકાત માટે આવી રહ્યા છે. પીએમની આ મુલાકાત દરમિયાન તેઓ નેશનલ હાઈવે નજીક નવનિર્મિત દેશના સૌથી આધુનિક અને સુવિધાસભર ભાજપ કાર્યાલય નમો કમલમનું ભવ્ય લોકાર્પણ કરશે, પીએમ મોદીના આગમનને લઈને નવસારી ભાજપ સંગઠનને લઈને નવસારી જિલ્લામાં સેવાહીન પ્રવૃત્તિઓ અને જનકલ્યાણકારી કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે.
નાના વેપારીઓને પગભર કરવાં પગલું
નવસારી જિલ્લામાં ભાજપ સંગઠન દ્વારા આરંભાયેલા સેવાકીય અભિયાનના ભાગરુપે નવસારીના લૂંસીકુઇ ગ્રાઉન્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી. આર પાટીલે લૂંસીકુઇ ચોપાટીના 100 જરુરિયાતમંદ લારી ફેરિયાઓને સંસદસભ્ય ફંડમાંથી રુ.30 હજારની કિંમત ધરાવતી આધુનિક અને મજબૂત સ્ટેનલેસ સ્ટીલની લારીઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી.
સામાજિક અને આરોગ્ય કેમ્પોનું આયોજન
પીએમ મોદીની મુલાકાતને પગલેં નવસારી જિલ્લામાં ખાસ સેવાકીય અને આરોગ્ય વિષયક કેમ્પ યોજવામાં આવ્યા હતા. જેમાં ખાસ સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહારકીટનું વિતરણ, ટીબીના દર્દીઓ માટે ન્યુટ્રીશનલ ફૂડ કીટની સહાય તેમજ સિનિયર સિટીઝનો માટે સાધન સહાય અને મફત આરોગ્ય તપાસ કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું,
સ્ટ્રીટ ફૂડને સ્વચ્છ બનાવવાનો લક્ષ્યાંક
નવસારી શહેરમાં સ્ટ્રીટ ફૂડ વ્યવસાયને વધારે આકર્ષક, સ્વચ્છ અને સુસજ્જ બનાવવાના હેતુથી આ લારીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીયમંત્રી સી. આર પાટીલના જણાવ્યા મુજબ, નવસારી શહેરમાં તમામ ફેરિયાઓની લારીઓ એક જ સરખી દેખાય અને ગ્રાહકોને ખૂબ જ સારુ સ્વચ્છ વાતાવરણ મળે તે હેતુથી આગામી દિવસોમાં 700 અન્ય નાના ધંધાર્થીઓને નવી સ્ટીલની લારીઓ અપાશે.
