Rajpipla: નાંદોદ માંગરોલ ધનેશ્વર મંદિરના સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી મુકી લાપતા બનતા ચકચાર

સદાનંદ મહારાજ થોડા દિવસોથી પોતાના આશ્રમ પર નહી પણ ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામ ખાતે આવેલી પીન્ટુલાલા વિદ્યા મંદિર સ્કુલમાં રહેતા હતા.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 06 Apr 2025 11:52 PM (IST)Updated: Sun, 06 Apr 2025 11:52 PM (IST)
rajpipla-sadanand-maharaj-of-nandod-mangrol-dhaneshwar-temple-goes-missing-after-leaving-a-suicide-note-causing-a-stir

Rajpipla: છેલ્લા ઘણા સમયથી મંદિર અને આશ્રમની મિલક્તોને લઇ સાધુઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને થોડા સમય પહેલાં ધનેશ્વર મહાદેવ મંદિર નજીક મારામારીની ઘટના બનતા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે સદાનંદ મહારાજ આત્મવિલોપનની ચિઠ્ઠી લખી લાપત્તા થઈ જતા આખા મામલામાં નવો વળાંક આવ્યો છે. સદાનંદ મહારાજ થોડા દિવસોથી પોતાના આશ્રમ પર નહી પણ ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામ ખાતે આવેલી પીન્ટુલાલા વિદ્યા મંદિર સ્કુલમાં રહેતા હતા.

સદાનંદ મહારાજ ગત 5 માર્ચના દિવસે સવારના 6 વાગ્યાની આસપાસ પિન્ટુલાલા સ્કુલથી કોઈને પણ કંઈ કહ્યા વગર તેમની રૂમમાં એક કોરા કાગળ ઉપર લાલ બોલપેનથી આત્મવિલોપન કરવા અંગેની ચીઠ્ઠી લખી મુકી પોતે ક્યાંક જતા રહ્યા હતા. ગોપાલપુરા રહેતા પીન્ટુલાલા વિદ્યા મંદિર સ્કૂલના સંચાલક યશપાલસિંહ ગોહિલે આ બાબતે ગરુડેશ્વર પોલીસને જાણ કરતા પોલીસે સદાનંદ મહારાજને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

સદાનંદ મહારાજે લાપતા થતા પહેલા આત્મવિલોપન અંગેનો વિડિયો વાયરલ કર્યો હતો. તેઓ આત્મવિલોપનની ચીમકી અંગે ચિઠ્ઠી પણ છોડીને ગયા છે. વિડિયોમાં સદાનંદ મહારાજે જણાવ્યું છે કે બે સાધુઓ મને માનસિક ત્રાસ આપે છે અને મને બદનામ કરે છે. તંત્ર પાસે મેં અનેક વાર ન્યાયની ભીખ માંગી પણ મને ન્યાય મળ્યો નથી. મારી પાસે સત્તા નથી સંપતિ નથી એટલે મને ન્યાય મળતો નથી. છેલ્લા ઘણા સમયથી ધનેશ્વર મંદિર વિસ્તારમાં પોલીસ પ્રોટેક્શન છે, લોકો ત્યાં દર્શન કરતા ડરે છે. તંત્ર ગંભીર નોંધ ના લે એ દુર્ભાગ્ય છે. આજે રાજ્ય અને દેશમાં હિંદુવાદી સરકાર હોવા છતાં મારા જેવા અનેક સંતો ન્યાય માટે વિવશ બન્યા છે. ધર્મક્ષેત્ર અને ગામમાં અશાંતિ ફેલાવતા તત્વોને કડક સજા થવી જોઈએ.