Sardar Sarovar Dam:આ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 23 ગેટ ખોલાયા, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા

પાણીના આ મોટા પ્રવાહને કારણે નર્મદા નદી બંને કાંઠે વહેતી થઈ છે અને તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે નદીકાંઠાના ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાનાં કુલ 27 ગામોને એલર્ટ કરાયા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 05 Sep 2025 11:12 AM (IST)Updated: Fri 05 Sep 2025 11:12 AM (IST)
narmada-sardar-sarovar-dam-water-rises-23-gates-opened-27-villages-alerted-597717

Sardar Sarovar Dam Water Level Today: સરદાર સરોવર નર્મદા ડેમમાં આ સિઝનમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતા આજે 23 દરવાજા પ્રથમવાર ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી આવતા 5,30,291 ક્યુસેક પાણીના કારણે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 135.93 મીટર સુધી પહોંચી ગઈ છે, જે 24 કલાકમાં 40 સેન્ટીમીટરનો વધારો દર્શાવે છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હાલમાં તે 90 ટકા ભરાયો છે.

પાણીના યોગ્ય નિયંત્રણ માટે 23 દરવાજા 2.50 મીટર ઊંચાઈએ ખોલીને નર્મદા નદીમાં 4,46,451 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીના આ મોટા પ્રવાહને કારણે નર્મદા નદી બંને કાંઠે વહેતી થઈ છે અને તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે નદીકાંઠાના ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાનાં કુલ 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પાણીના વધારા કારણે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી કોઈપણ પ્રકારની જાનહાનિ કે નુકસાન ન થાય. લોકોમાં સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે અને નદીકાંઠા પર અનાવશ્યક ભીડ ન કરવા સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમ હાલ વરસાદી સિઝનની શ્રેષ્ઠ સપાટીએ પહોંચવાના માર્ગે છે, જેના કારણે રાજ્યમાં પાણી પુરવઠા અને સિંચાઈની સુવિધાઓ મજબૂત બનશે.