Narmada: સ્ટેચ્યુ ઑફ યુનિટી નજીક આવેલા ગરુડેશ્વર ગામના પુલ પરથી પ્રેમી પંખીડાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવીને મોતને વ્હાલુ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. અંતિમ પગલું ભરતા પહેલા પ્રેમી યુગલે એક વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેઓ કહી રહ્યાં છે કે, અમારે ભેગા રહેવું છે. હવે અમારે નથી જીવવું.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નર્મદા જિલ્લાના વઘરાલી ગામનો ગંગારામ નવીન તડવી (19) અને કમોસબીયાની હિના દિનેશભાઈ તડવી (18) એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. જો કે બન્નેના પરિવારજનોને તેમનો પ્રેમ સબંધ સ્વીકાર નહતો. જેથી તેમણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો.
આજે બન્ને પ્રેમી પંખીડાએ ગરુડેશ્વર ગામના પુલ પરથી નીચે નદીમાં પડતું મૂક્યું હતુ. પ્રેમી પંખીડાએ અંતિમ પગલું ભરતા પહેલા પોતાના ફોનમાં એક વીડિયો ઉતાર્યો હતો. જેમાં તેઓ જણાવી રહ્યાં છે કે, અમે અમારી ઈચ્છાથી મરવા માંગીએ છીએ. હવે અમારે જીવવું નથી, ભેગા રહેવું છે. અમે એકબીજાથી અલગ રહેવા નથી માંગતા.
આ બનાવની જાણ થતાં આસપાસના ગ્રામજનો ઉપરાંત રાહદારીઓના ટોળા પુલ તેમજ નદી કિનારે ઉમટી પડ્યા હતા. જ્યારે ગરુડેશ્વર પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તરવૈયાની મદદથી બન્નેના મૃતદેહો બહાર કાઢીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
