Narmada News: રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં પણ અનેક સરકારી કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ત્યારે બીજી તરફ બે આદિવાસી યુવકોના માર મારવાથી મોત નીપજ્યાની ઘટનાનો પડઘો પડ્યો છે અને કેવડિયા-ગુરડેશ્વરમાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે સ્થાનિકોએ પાળ્યું હતું. આજે વિશ્વ આદિવાસી દિવસના બદલે જન આક્રોશ દિવસ મનાવવામાં આવ્યો હતો.
કેવડિયા અને ગરુડેશ્વરમાં બંધ પાળ્યું
કેવડિયા ટ્રાઇબલ મ્યુઝિયમમાં જે બે આદિવાસી યુવાનોને ઢોર માર મારવાની ઘટના બની હતી. તેમાં બંને યુવાનોના મોત થતા સ્થાનિક લોકોમાં આ અંગે ભારે રોષ ફાટી નીકળ્યો છે. જેથી દેદિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આજે કેવડિયા અને ગરૂડેશ્વરને બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને સ્થાનિકોએ આજે પાળ્યું છે.
આજે વિસ્તારોના બજારો થી લઈને નાની મોટી બાંધી જ દુકાનો સદંતર બંધ રાખવામાં આવી છે. કેવડિયાના વેપારીઓએ પણ સ્વયંભૂ બંધને સમર્થન આપ્યું. સાથે જ આદિવાસી સમાજે આજે બજારમાં આવીને બંને મૃતક યુવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે સાથે આદિવાસી યુવાનોને ન્યાય મળે અને અહીંયા પરપ્રાંતના લોકોને રોજગારીની જગ્યાએ સ્થાનિકોને નોકરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ભરૂચમાં આદિવાસી સમાજે સાંસ્કૃતિક પગપાળા રેલી કાઢી
ભરૂચ શહેરમાં આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક પગપાળા રેલીકાઢવામાં આવી હતી. આ રેલી ઇદગાહ ગ્રાઉન્ડથી કાઢવામાં આવી જે પાંચબત્તી થઈ રેલ્વે સ્ટેશન રોડ પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી પૂર્ણ કરવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો જોડાયા હતા. આ રેલીમાં આદિવાસી બહેનો અને ભાઈઓ તેમજ બાળકો પરંપરાગત વસ્ત્રો, ઓજારો, તીર કામથા લઇ ઉમટી પડ્યા હતા. આદિવાસી ટીમલી નૃત્ય અને ડીજે તેમજ ઢોલ નગારાના તાલે પગપાળા રેલી નિકળી હતી. જય આદિવાસી, જય જોહર, બિરસામુંડા કી જય ના જયઘોષ સાથે સમગ્ર ભરૂચ ગુંજી ઉઠ્યું છે.
