Kheda News: ઠાસરા તાલુકાના ઉધમાતપુરા ગામના ખેડૂત છત્રસિંહ ડાભઈ ભાઈ પરમારે પોતાના ગામમાં સૌપ્રથમ પ્રાકૃતિક ખેતી અપનાવી હતી. અને તેમને આજે ઉધમાતપુરાના 25 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળ્યા છે. છત્રસિંહ પરમારે તેમની ત્રણ એકર જમીનમાં મગ અને ઘઉંની પ્રાકૃતિક ખેતી કરીને રૂપિયા 1.20 લાખની આવક મેળવી હતી. ઓછી જમીન વાળા ખેડૂતો માટે તેમને પ્રેરણારુપ ઉદાહરણ પૂરું પાડયું છે.
આ પણ વાંચો
વિવિધ શાકભાજી અને પાકનું વાવેતર
છત્રસિંહ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા. ત્યારબાદ આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શનમાં તેમણે વર્ષ 2020 થી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. આજે તેઓ મિશ્ર પાક મોડેલ આધારિત ખેતી કરી રહ્યા છે. હાલમાં તેઓએ ફુલાવર, ડુંગળી, રીંગણ, મેથી, મરચી, ટામેટા, મૂળા સહિતના શાકભાજીનું વાવેતર કર્યું છે. તેમજ તજ, તમાલપત્ર, સિંદૂર અને જામફળી ઉગાડીને મિશ્ર પાકનું સુંદર મોડેલ ઉભુ કર્યું છે.
દેશી ગાયનો ઉછેર
બે દેશી ગાય ધરાવતા છત્રસિંહે પોતાની વાડીનું નામ ગૌરી પ્રાકૃતિક ફાર્મ રાખ્યું છે. ગાય નિભાવ માટે સરકાર દ્વારા તેમને દર મહિને રૂપિયા 900 ની સહાય પણ મળી રહી છે. આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શનથી છત્રસિંહે 5000 લીટરની ક્ષમતા ધરાવતું જીવામૃત સ્ટ્રકચર બનાવ્યું છે. જેમાં તેઓ જીવામૃત, ઘનજીવામૃત, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને દશપરણી અર્ક બનાવી તેનો નિયમિત રીતે ખેતીમાં છંટકાવ કરે છે. વધુમાં આ જીવામૃતને જે ખેડૂતો પાસે ગાય ન હોય તેને પણ નજીવા દરે પૂરું પાડે છે.
ખેડૂતનું નિવેદન
પ્રાકૃતિક ખેતી વિશે છત્રસિંહ જણાવ્યું કે, આજે પ્રાકૃતિક ખેતી દ્વારા તેમનો ખેતીનો ખર્ચ ઘટ્યો છે અને આવકમાં વધારો થયો છે. તેઓ ખુશ છે કે આજે તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા પ્રકૃતિ અને માનવ સ્વાસ્થ્ય જાળવણીના કાર્યમાં તેઓ મદદરૂપ કામગીરી કરી રહ્યા છે.
અન્ય ખેડૂતોને તાલીમ આપે છે
છત્રસિંહ પોતાની ખેત પેદાશોનું વેચાણ ટેલિફોનીક માધ્યમથી ગ્રાહકોને સીધું વેચાણ કરે છે. સાથે જ પોતાના કૃષિ કૌશલ્યને પોતાના પૂરતું મર્યાદિત ન રાખતા અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપી રહ્યા છે. તેમણે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં 250 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે. મુખ્યત્વે ઘઉં, બાજરી અને ડાંગરની ખેતીવાળા જમીન વિસ્તારમાં મિશ્ર પાક આધારીત પ્રાકૃતિક ખેતી અપનાવી સફળ ખેતી કરતા છત્રસિંહ પરમારે સાહસિક ખેતીનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.
