Kanti Amrutiya News: મોરબીમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. અહીં નેતા અને જનતા વચ્ચેનો સીધો સંઘર્ષ જોવા મળી રહ્યો છે. મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સ્થાનિક રહીશોએ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કરીને ચક્કાજામ કર્યું છે. મહત્ત્વનું છે કે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, તેઓ લાંબા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
ખરાબ રોડ-રસ્તા
સ્થાનિકોએ કહ્યું છે કે, અહીં ગટરો 24 કલાક અને 365 દિવસ ઉભરાયેલી રહે છે. આના કારણે મચ્છરનો ઉપદ્રવ થાય છે અને બીમારી ફેલાવવાનો ભય રહે છે. ગટરનું પાણી શેરીઓ અને ઘરોમાં પણ પ્રવેશે છે, જેનાથી સ્વચ્છતા જળવાતી નથી અને બાથરૂમ પણ ભરાઈ રહે છે. તો કાલિકા પ્લોટમાં છેલ્લા 10 વર્ષથી એકાંતરે પાણી આવે છે. જ્યારે આખા ગામમાં નર્મદાનું પાણી આવતું હોવા છતાં તેમને નથી મળતું. પાણી પણ સમય વગરનું આવે છે.
રજૂઆતો છતાં સોલ્યુશન નહીં
સ્થાનિક લોકોએ આ સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆતો કરી છે. તેમણે દોઢ મહિનાથી નગરપાલિકા, કમિશનર, ચીફ ઓફિસર અને ડેપ્યુટી એન્જિનિયરને ફરિયાદ કરી છે, પરંતુ તેમનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. સફાઈ કામદારો પણ તેમનો વિસ્તાર ન આવતો હોવાનું કહીને ગટર સાફ કરવાનો ઇનકાર કરે છે. લોકોનું કહેવું છે કે, જો કદાચ કોઈ આવીને કામ કરી પણ જાય તો અઠવાડિયામાં પરિસ્થિતિ ફરીથી જેવી હતી તેવી જ થઈ જાય છે. આથી, તેમની પાસે ન છૂટકે ચક્કાજામ કરવાનો વિકલ્પ રહ્યો.
પોલીસની હાજરીમાં લોકોની માંગ
ચક્કાજામને પગલે પોલીસ લોકોને સમજાવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આટલા મોટા પાયે લોકોનો વિરોધ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વિરોધ કરનાર લોકોની મુખ્ય માંગણી છે કે રોડ-રસ્તા સરખા કરવામાં આવે, ગટરો સાફ કરવામાં આવે અને તેમની શેરીઓને વ્યવસ્થિત અને સ્વચ્છ બનાવવામાં આવે.
કાંતિ અમૃતિયા- ગોપાલ ઇટાલિયા વિવાદ શું હતો?
તાજેતરમાં ગોપાલ ઇટાલિયા સાથેના રાજકીય વિવાદને કારણે કાંતિ અમૃતિયા પણ ચર્ચામાં છે. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી જીતી બતાવે તેવો પડકાર ફેંક્યો હતો. જેને સ્વીકારી ઇટાલિયાએ કાંતિ અમૃતિયા 12 જુલાઈ સુધીમાં રાજીનામું આપી બતાવે તેવી ચેલેન્જ ફેંકી હતી. આથી કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે આવો ગાંધીનગર આપણે સાથે રાજીનામા આપીએ. આ પડકાર સ્વીકારીને 14 જુલાઈ 2025ના રોજ કાંતિ અમૃતિયા વિધાનસભા રાજીનામુ આપવા પહોંચ્યા હતા. પરંતુ ગોપાલ ઈટાલિયા ન આવતા તેઓ રાજીનામુ આપ્યા વગર પરત ગયા હતા.
