Pravin Togadia on Muslim Population:મોરબીના પંચાસર રોડ પર આવેલા શક્તિધામ મંદિરે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની હાજરીમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે હિન્દુઓને સંગઠિત થવા અને દેશમાં વસ્તી નિયંત્રણ માટે કડક કાયદો લાવવા પર ભાર મૂક્યો હતો.
હનુમાન ચાલીસા કેન્દ્રો: ભક્તિ-શક્તિનો સ્ત્રોત
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સતવારા સમાજના લોકો અને અન્ય હિન્દુઓને સંબોધતા પ્રવિણ તોગડિયાએ આહ્વાન કર્યું હતું કે, વિવિધ વિસ્તારોમાં હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે આ કેન્દ્રો માત્ર ભક્તિ માટે જ નહીં, પરંતુ શક્તિના સ્ત્રોત તરીકે પણ ઉભરશે. દર શનિવારે રાત્રે લોકો અહીં એકત્રિત થઈ સંગઠિત થશે અને આ કેન્દ્રો પરથી લોકોને આરોગ્ય સારવાર પણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
મુસ્લિમ વસ્તી નિયંત્રણ માટે કાયદાની અપીલ
પ્રવીણ તોગડિયાએ હિન્દુઓની બહુમતી જાળવી રાખવા માટે કેન્દ્ર સરકારને મુસ્લિમ વસ્તી નિયંત્રણ માટે નવો કાયદો બનાવવાની અપીલ કરી હતી. તેમણે વસ્તી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને "તીન બચ્ચા હિન્દુ સચ્ચા" નો નારો આપ્યો હતો.
ત્રીજા સંતાન પર અધિકારો બંધ કરવાની માંગ
પ્રવીણ તોગડિયાએ સૂચન કર્યું હતું કે, જો કોઈ મુસ્લિમ પરિવારને બે બાળકો પછી ત્રીજું સંતાન થાય, તો તેમની કેટલીક સુવિધાઓ તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ. જેમાં સરકારી અનાજ (રેશન) અને સરકારી સહાય, સરકારી શાળામાં પ્રવેશ અને સરકારી તબીબી સારવાર, બેંક લોન મેળવવાની સુવિધા તથા સૌથી મહત્વનું, મતદાનનો અધિકાર છીનવી લેવો જોઈએ.
પ્રવીણ તોગડિયાએ દાવો કર્યો હતો કે, જો સરકાર આ પ્રકારના કડક પગલાં ભરે તો જ ભારતમાં મુસ્લિમોની વસ્તી વૃદ્ધિને અટકાવી શકાય છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રવીણ તોગડિયાએ હિન્દુઓને જાગૃત અને સંગઠિત થવા માટે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.
