Morbi News: હળવદના નવા અમરાપરમા વીજપોલના વળતર બાબતે હળવદના 10 ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. હલ્લાબોલ કરીને યોગ્ય વળતર આપવામાં આવશે તો જ કામગીરી કરવા દેવાશે તેવી રજૂઆત કરી હતી. આ સાથે જ જો બળજબરીથી કામગીરી કરવામાં આવશે તો આત્મવિલોપન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી. જેના પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.
હળવદ તાલુકામાં 765 કેવી ડીસી લાકડીયા-અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનની કામગીરી કરાઈ રહી છે. જેમાં ઠેરઠેર વળતર બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે નવા અમરાપરમા 10થી વધુ ગામનાં ખેડુતોએ વિરોધ પ્રદર્શન કરી યોગ્ય વળતર ચુકવવાની માંગણી સાથે હલ્લાબોલ કર્યો હતો. ળવદના નવા અમરાપરમા આજે મંગળપુર, વેગડવાવ, માલણીયાદ, ઈશનપુર, અમરાપર,ધન શ્યામગઢ, રાયસંગપુર, ધનાળા, મયુરનગર, ચાડધ્રા, ધુળકોટ સહિતના ગામોનાં ખેડૂતોએ વળતર બાબતે હલ્લાબોલ કર્યો હતો.
ખેડુતોએ જણાવ્યું હતું કે 765 કેવી વિજપોલ માટે 1 લાખ અને વીજતાર માટે 51 હજાર અપાય છે જ્યારે અન્ય ગામોમાં 70 લાખથી વધુ રકમ ચુકવાઈ છે. ત્યારે અમારી સાથે ભેદભાવ કેમ અને જો અમને યોગ્ય વળતર નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું તેવી ખેડુતોએ ચિમકી ઉચ્ચારી હતી જેના પગલે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં તબદીલ જોવા મળ્યું હતું.
