Morbi News: વાંકાનેરમા રહેતા કોલસાના વેપારીએ મોરબી સ્થિત વ્યાજખોર સાળા સહિતના બે શખ્સોના ત્રાસથી કંટાળી સ્યૂસાઇડ નોટ લખી ફીનાઇલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમા આવેલા બહુચરાજી શેરીમા રહેતા અને કોલસાનો વેપાર કરતા યશ પ્રફુલ્લચંદ્ર ભાવસાર નામના યુવકે પોતાના ઘરે હતો ત્યારે મધરાત્રીના ફીનાઇલ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમા આપઘાતનો પ્રયાસ કરનાર યશ ભાવસાર તેના માતા-પિતાનો આધારસ્તંભ એકનો એક પુત્ર અને એકની એક બહેનનો એકલોતો ભાઇ છે. યશ ભાવસાર કોલસાનો વેપાર કરી પરિવારને આર્થિક મદદ કરે છે. પોલીસ તપાસમા આપઘાતનો પ્રયાસ કરનાર યશ ભાવસાર પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી છે. જે સ્યૂસાઇડ નોટમા યશ ભાવસારે મોરબી રહેતા સાળા પાસેથી 25 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા.
આ રુપિયાની ઉઘરાણી કરી વ્યાજખોર શ્યામ કુંવરીયા અને કેયુર રાચ ત્રાસ આપી ચરસ અને દારૂના કેસમા ફીટ કરી દેવાની ધમકી આપી લગ્ન નહી થવા દઇએ તેવી ધમકી આપતા હતા. લોનના બહાને સાળાએ કોરા ચેક લઇ સાઇન કરાવી લીધી હોવાનો સ્યૂસાઇડ નોટમા આક્ષેપ કરવામા આવ્યો છે. બંનેના ત્રાસથી ફીનાઇલ પી લીધુ હોવાનો સ્યૂસાઇડ નોટમા ઉલ્લેખ કરવામા આવ્યો છે. વાંકાનેર પોલીસે સ્યૂસાઇડ નોટ કબજે કરી તપાસનો દોર લંબાવ્યો છે.
