Morbi: આજરોજ વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ (Gopal Italia) ધારાસભ્ય પદના શપથ લઈ લીધા છે. આ સાથે જ ગોપાલ ઈટાલિયાને રાજીનામાનો પડકાર ફેંકનાર મોરબીથી જીતનારા ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા (Kanti Amrutiya) કામે લાગી ગયા છે.
કાંતિ અમૃતિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક મોરબીની સેવા માટે કટીબદ્ધ શિર્ષક હેઠળ પોસ્ટ મૂકી છે. જે અંતર્ગત આજે કાંતિ અમૃતિયાએ મોરબીના વોર્ડ નંબર 1,2,3 અને 4ના રહેવાસીઓને મળ્યા હતા. જેમની સાથે ભૂગર્ભ ગટર, પાણી, લાઈટ અને વિકાસલક્ષી કાર્યોની ચર્ચા કરી હતી. લોકોની સમસ્યાના નિરાકરણ માટે જરૂરી સૂચનો આપ્યા હતા. આ સાથે જ આગામી સમયમાં લોકોને ઉત્તમ સુવિધા મળી રહે તે માટે સંપૂર્ણ આયોજનને વેગ અપાશે.
હકીકતમાં મોરબીમાં વિસાવદરવાળી થવાની ચીમકીના પગલે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને પડકાર ફેંક્યો હતો કે, તેઓ રાજીનામું આપી દે, પછી ચૂંટણીના મેદાનમાં આવે. ગોપાલ ઈટાલિયાએ પડકારને ઝીલી લેતા રાજકારણ ગરમાયું હતુ. જે બાદ કાંતિ અમૃતિયા પોતાના સમર્થકોની કારોના કાફલા સાથે ગાંધીનગર સચિવાલય રાજીનામું આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની રાહ જોઈ હતી. આ સમયે ગોપાલ ઈટાલિયા રાજીનામું આપે, તો પોતે પણ રાજીનામું ધરી દઈશનું રટણ કર્યું હતુ.
બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામે કાંતિ અમૃતિયાના શક્તિ પ્રદર્શનને નૌટંકી ગણાવીને જણાવ્યું કે, ગોપાલ ઈટાલિયાએ 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં કાંતિકાકા રાજીનામું આપશે ત્યારબાદ તેઓ તેમની ચેલેન્જ સ્વીકારવા માટે કંઈ વિચારશે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈએ ક્યાંય પણ રાજીનામાંનો ઉલ્લેખ કર્યો ન હતો, કારણ કે હજુ સુધી ગોપાલભાઈની શપથવિધિ પણ થઈ નથી.
આજે ગોપાલ ઈટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લેતા પૂર્વ મુખ્યમંત્રી કેશુ પટેલને યાદ કરતા જણાવ્યું કે, મેં ક્યારેય નહતું વિચાર્યું કે, મને વિધાનસભામાં બેસવા મળશે. વિસાવદરની જનતાએ મને વિધાનસભામાં જવાની તક આપી છે.
