Mehsana: વિજાપુર-હિંમતનગર હાઈવે પરનો દેરોલ બ્રિજ અઢી મહિનાના અંતે નાના વાહનો માટે શરૂ, હજારો વાહન ચાલકોને મોટી રાહત

સાબરમતી નદી પર આવેલો દેરોલ બ્રિજ જર્જરિત થતાં વાહન વ્યવહાર માટે બંધ કરાતા હજારો લોકોને વૈકલ્પિક માર્ગે ફરીને જવાની ફરજ પડતાં સમય અને ઈંધણનો વ્યય થતો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 14 Oct 2025 09:09 PM (IST)Updated: Tue, 14 Oct 2025 09:09 PM (IST)
mehsana-news-derol-bridge-on-vijapur-himmatnagar-higway-open-for-small-vehicles-after-2-5-months
HIGHLIGHTS
  • તંત્ર દ્વારા બ્રિજની મરામત અને લોડ ટેસ્ટિંગ બાદ નિર્ણય લેવાયો
  • ભારે વાહનો માટે બ્રિજ પર પ્રતિબંધ યથાવત

Mehsana: વિજાપુર-હિંમતનગર સ્ટેટ હાઈવે પર સાબરમતી નદી પર આવેલો અને જર્જરિત હાલતને કારણે થોડા મહિનાઓ અગાઉ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરાયેલો દેરોલ બ્રિજ ફરી એકવાર નાના વાહનોની અવરજવર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્રના આ નિર્ણયથી સ્થાનિક નાના વાહનચાલકોમાં અને મુસાફરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

આ બ્રિજ બંધ થવાના કારણે હજારો લોકોને લાંબા વૈકલ્પિક રસ્તે ફરીને જવાની ફરજ પડતી હતી, જેના કારણે સમય અને ઇંધણનો વ્યય થતો હતો. વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને ખેડૂતોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડતી હતી.

લગભગ અઢી મહિના જેટલું બંધ રહ્યા બાદ આંશિક રાહત
બ્રિજ બંધ થયા બાદ સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા તેને ફરી શરૂ કરવાની સતત માંગણી કરવામાં આવી રહી હતી. વહીવટી તંત્ર દ્વારા બ્રિજની મરામત અને લોડ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ હાલ પૂરતો માત્ર ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર જેવા નાના વાહનો માટે બ્રિજ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

naidunia_image

ખુશીનો માહોલ
નાના વાહનો માટે બ્રિજ ફરી શરૂ થતાં, સ્થાનિક લોકોને હવે લાંબા અંતરનો ફેરો નહીં કરવો પડે. હિંમતનગર અને વિજાપુર વચ્ચે રોજીંદો પ્રવાસ કરતા લોકોને મોટી રાહત મળી છે. જોકે, ભારે વાહનો માટે હાલ પણ આ બ્રિજ પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે, જેના પગલે વહેલી તકે નવા બ્રિજનું નિર્માણ થાય તેવી માંગણી પણ સ્થાનિકો કરી રહ્યા છે. વહીવટી તંત્રએ જણાવ્યું છે કે બ્રિજની સ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવશે.