Mehsana: ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામમાં જર્જરિત મકાનની દીવાલ અચાનક ધસી પડતાં 6 જેટલા લોકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. જે પૈકી 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 3 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામના મહાદેવ મંદિર નજીક રહેતા અશ્વિન પટેલનું જૂનું મકાન પાડીને નવું બનાવવા માટેની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જર્જરિત દીવાલ અચાનક ધસી પડતા તેના કાટમાળ હેઠળ 6 જેટલા લોકો દટાઈ ગયા હતા.
આ બાબતની જાણ થતાં તાત્કાલિક ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા. જે બાદ સ્થાનિક તંત્રની ટીમ પણ JCB લઈને સુંદરપુરા ગામે પહોંચી ગઈ હતી. જ્યાં કાટમાળ ખસેડીને એક પછી એક તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જે પૈકી 3 લોકોના મોત નીપજ્યા હોવાનું માલૂમ પડ્યું હતુ.
Mehsana, Gujarat: In Sundarpur, Vijapur Tehsil, an accident occurred when the wall of an old house collapsed. Six people were trapped under the debris, resulting in three deaths at the site and three others seriously injured pic.twitter.com/FVjj9cKmMO
— IANS (@ians_india) May 23, 2025
આ ઘટનામાં મૃતકોની ઓળખ રણજીત ઠાકોર (40), બાબુ ભૂરિયા (45) બન્ને રહે. જૂના ફૂદેડા અને જીતેન્દ્ર ચૌહાણ (25, રહે. સરદારપુરા) તરીકે થઈ છે. જ્યારે ઈજાગ્રસ્તોની ઓળખ પટેલ હરેશ (45) અને કિશોરી કમલેશભાઈ અને ચંદ્રિકાબેન તરીકે થઈ છે. હાલ આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં એકની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.
