Mehsana: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વર્લ્ડ ક્લાસ સસ્ટેઈનેબલ ટુરીઝમ એન્ડ પીલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકે વિકસાવવા ચાલી રહેલા બહુવિધ પ્રવાસન પ્રોજેક્ટ્સના પ્રગતિ કામોનું સ્થળ નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
₹1100 કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં ધરોઈ રિજિયન ડેવલપમેન્ટ
ધરોઈ રિજિયનનો આ મહત્વાકાંક્ષી વિકાસ પ્રોજેક્ટ કુલ ત્રણ તબક્કામાં અંદાજે ₹1100 કરોડના ખર્ચે સાકાર થશે. આ પ્રોજેક્ટ સ્પિરિચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝ દ્વારા પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપશે. આનાથી સ્થાનિક રોજગારીના નવા અવસરો ઉભા થશે અને વોકલ ફોર લોકલ અભિયાનને પણ સાર્થક કરી શકાશે.
ધરોઈ બનશે 'આઈકોનિક પ્લેસ': ઉત્તર ગુજરાત ટુરિઝમ સર્કિટનું થશે નિર્માણ
ગુજરાતના અન્ય પ્રખ્યાત પ્રવાસન સ્થળોની જેમ ધરોઈને પણ 'આઈકોનિક પ્લેસ' તરીકે વિકસાવવામાં આવશે. આ સાથે, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતના પ્રવાસન સ્થળો અને યાત્રાધામોને જોડીને એક સંકલિત ટુરિઝમ સર્કિટ વિકસાવવાનું ભવિષ્યલક્ષી આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ડેમ સેફ્ટી અને જળાશયોની સ્થિતિ: મુખ્યમંત્રીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક
મુખ્યમંત્રીએ ધરોઈ ડેમની મુલાકાત લીધી હતી, જ્યાં આ વર્ષે 70.80 ટકા જેટલું નવું પાણી આવ્યું છે. આ મુલાકાત દરમિયાન, તેમણે ડેમ સેફ્ટી અંગેની એક ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી.
રાજ્યના જળાશયોનું પ્રિ-મોન્સૂન ઇન્સ્પેક્શન સંપન્ન: તમામ ડેમ સુરક્ષિત
બેઠકમાં જણાવવામાં આવ્યું કે, રાજ્યમાં સરદાર સરોવર નર્મદા ડેમ સહિત કુલ 1124 જળાશયો આવેલા છે (22 મોટા, 96 મધ્યમ અને 1006 નાના). 1 MCMથી વધુ જળસંગ્રહ ક્ષમતા ધરાવતા 523 ડેમોનું પ્રિ-મોન્સૂન ઇન્સ્પેક્શન નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ મે-2024માં પૂર્ણ થઈ ગયું છે, અને બધા જ ડેમ સલામત અને સુરક્ષિત છે. 1 MCMથી ઓછી સંગ્રહ શક્તિ ધરાવતા 600 ડેમોનું પણ નિરીક્ષણ પૂર્ણ થયું છે અને તે પણ સુરક્ષિત છે.
સરદાર સરોવર ડેમના અપસ્ટ્રીમ વિસ્તારમાંથી મળતી જળસ્તર અને વરસાદની માહિતી વોટ્સએપ, ઈ-મેઈલ અને ગૂગલ શીટ મારફતે નિયમિતપણે શેર કરીને સંબંધિત રાજ્યો વચ્ચે સંકલન જાળવવામાં આવે છે.
ગ્રીન કવર વધારવા પર ભાર: મુખ્યમંત્રીનો પ્રેરક સુચન
મુખ્યમંત્રીએ આ સમગ્ર ધરોઈ ટુરીઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ચાલી રહેલી કામગીરીનું મુખ્ય સચિવ પંકજ જોશી સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે નિરીક્ષણ કરીને, ધરોઈ જળાશય આસપાસના વિસ્તારમાં ગ્રીન કવર વધારવા માટેનું પ્રેરક સૂચન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સાંસદો, ધારાસભ્યો અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
